Ahmedabad,તા.03
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે રવિવારથી વાતાવરણમાં પલટાનો યોગ છે. રવિવારથી શુક્રવાર એમ આગામી 6 દિવસ ગુજરાતમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ દરમિયાન શુક્રવારે ગાંધીનગરમાં 43.5. ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 42ની આસપાસ રહેશે. ત્યારબાદ 6 મે બાદ તાપમાન 40 ડિગ્રીથી નીચે જતાં ગરમીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. સોમવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવ, કચ્છમાં માવઠાની આગાહી છે. મંગળવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભાવનગર, અમરેલી અને કચ્છમાં માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.