Ahmedabad,તા.16
ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મહેરબાન થવા જઈ રહ્યા છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. જ્યારે અન્ય 15 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે, જેને પગલે સ્થાનિક તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
ગત 24 કલાકમાં રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ મહીસાગરના કડાણામાં સાડાત્રણ ઇંચ, પાલનપુરમાં અઢી ઇંચ, નવસારીના વાંસદા અને મહીસાગરના લુણાવાડામાં પોણા બે ઇંચ વરસાડ ખાબક્યો હતો, જ્યારે અન્ય તાલુકામાં દોઢ ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ, આણંદ, છોટા ઉદેપુર , વડોદરા, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા , મહીસાગર, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી , નવસારી, વલસાડ, ડાંગ અને નર્મદા સહિત 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આ વખતે અત્યાર સુધી 17 ઈંચ સાથે સિઝનનો 51 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેની સરખામણીએ ગત વર્ષે 15 જુલાઇ સુધી સરેરાશ 10 ઈંચ સાથે 30 ટકા વરસાદ નોંધાયો હતો.
સિઝમાં અત્યારસુધી પડેલો વરસાદ રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 6.65 ઈંચ સાથે સિઝનનો 58.46 ટકા, ઉત્તર ગુજરાતમાં 13.40 ઈંચ સાથે સિઝનનો 47.38 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 15.50 ઈંચ સાથે 48.85 ટકા, સૌરાષ્ટ્રમાં 14.50 ઈંચ સાથે 50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 32.20 ઈંચ સાથે 55 ટકા વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં હાલ 25 જળાશયો 100 ટકા, 57 જળાશયો 70 ટકાથી 100 ટકા, 42 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે જ્યારે 40 જળાશયો 25 ટકાથી નીચે ભરાયેલા છે. હાલ 39 જળાશયો હાઇ એલર્ટમાં છે. હાલ 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 59.16 ટકા છે.