Ahmedabad,તા.28
રાજ્યની સરકારી એન્જીનીયરીંગ કોલેજો અને સરકારી પોલીટેકનીક એન્જીનીયરીંગ કોલેજોમાં એડહોક તેમજ કરાર આધારિત લેકચરર્સ-આસીસ્ટન્ટ પ્રોફેસર્સને રેગ્યુલર પે સ્કેલ અને સંબંધિત લાભો આઠ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો.
જોકે, તેમને મળવાપાત્ર રકમ પરનું વ્યાજ ન ચૂકવાતાં નારાજ લેકચરર્સ અને આસીસ્ટન્ટ પ્રોફેસર્સ તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી.
આ કન્ટેમ્પ્ટ પિટિશનમાં જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ એલ.એસ.પીરઝાદાની ખંડપીઠે રાજ્યના શિક્ષણ વિભાગના પ્રિન્સીપાલ સેક્રેટરી સુનયના તોમર અને ટેકનીકલ એજયુકેશનના કમિશનર બી.એચ.તલાટી વિરુદ્ધ અદાલતી તિરસ્કાર અંગેની કન્ટેમ્પ્ટ નોટિસો જારી કરી હતી.
હાઇકોર્ટે સરકારના સત્તાવાળાઓના હુકમનું પાલન નહી કરવાના વલણની ગંભીર નોંધ લીધી હતી અને આ પ્રકરણમાં જે કોઈ કસૂરવાર અધિકારીઓ હોય તેમના નામો પણ સરકાર પાસે માંગ્યા હતા.
હાઇકોર્ટે આ મામલે રાજ્ય સરકારને કસૂરવાર અધિકારીઓના નામો સાથે વિગતવાર ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અદાલત હાઇકોર્ટના હુકમની અવહેલના કરનાર આવા કસૂરવાર અધિકારીઓ વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરશે. હાઇકોર્ટે આ કન્ટેમ્પ્ટ પિટિશનની વધુ સુનાવણી આવતા મહિને રાખી છે.
રાજ્યની સરકારી એન્જીનીયરીંગ કોલેજો અને સરકારી પોલીટેકનીક એન્જીનીયરીંગ કોલેજોના એડહોક તેમજ કરાર આધારિત લેકચરર્સ-આસીસ્ટન્ટ પ્રોફેસર્સ તરફથી કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં એડવોકેટ દ્વારા અદાલતનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, અન્ય એડહોક લેકચરર્સની સરખામણીએ પગાર ધોરણ, પગાર વધારા, વેકેશન, રજા તથા અન્ય લાભો ચૂકવવામાં અન્યાય થતાં અગાઉ તેઓએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં સિંગલ જજે અરજદારોને રેગ્યુલર પે સ્કેલ સહિતના સંબંધિત લાભો ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
આ હુકમ સામે રાજ્ય સરકાર દ્વારા લેટર્સ પેટન્ટ અપીલ દાખલ કરાઈ હતી, જો કે, હાઇકોર્ટે સરકારની અપીલ પણ ફગાવી દીધી હતી. એટલું જ નહીં, હાઇકોર્ટે અરજદારોને જે રકમ ચૂકવવાની થાય તે આઠ ટકા વ્યાજ સાથે ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. પરંતુ, સરકારના સત્તાવાળાઓ તરફથી આજદિન સુધી વ્યાજ ચૂકવવામાં આવ્યું ન હતું, જેને પગલે અરજદારોને ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે.
અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું એ મુદ્દે પણ ધ્યાન દોરાયું કે, સરકાર આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ સરકારની પિટિશન ફગાવી દીધી હતી અને અહીં કરેલી રિવ્યુ પિટિશન પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આમ, તમામ તબક્કે સરકાર અને સત્તાવાળાઓ હારવા છતાં અરજદાર કર્મચારીઓને તેમના હક્કની અને વ્યાજની રકમ ચૂકવવામાં આનાકાની કરી રહ્યા છે.
હાઇકોર્ટનો હુકમ હોવા છતાં ચૂકવણી નહી કરીને સરકાર અને તેના સત્તાવાળાઓ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ હેઠળ અદાલતી તિરસ્કારને પાત્ર બન્યા છે અને તેથી તેઓની વિરુદ્ધ અદાલતી તિરસ્કારની કાર્યવાહી હાથ ધરાવી જોઈએ.
અરજદારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખ્યા બાદ હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓના અદાલતના હુકમની અવગણના કરવાના વલણની ગંભીર આલોચના કરી હતી અને સરકારને સમગ્ર મામલે ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા જણાવ્યું હતું.

