કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રીના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય દિવ્યાંગોને સન્માન અને સુવિધા આપશે
New Delhi, તા.23
હવે દિવ્યાંગજનો માટે પણ સરકારી ઘર મેળવવાનું સપનું પૂરું થશે. કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક અને સંવેદનશીલ નિર્ણય લેતા કેન્દ્રીય સરકારી આવાસ યોજનામાં ૪ ટકા અનામત લાગુ કરી દીધું છે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વમાં લેવાયેલો આ નિર્ણય ન ફક્ત દિવ્યાંગોને સન્માન અને સુવિધા આપશે, પણ એક સમાવેશી અને સુગમ ભારતના નિર્માણની દિશામાં મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સરકારના આ નિર્ણયનો ઉદ્દેશ્ય છે કે દિવ્યાંગજનોને પણ શહેરી વિકાસ અને આવાસ યોજનાઓમાં બરાબરની ભાગીદારી મળે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ નિર્ણય તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવાના નિર્દેશ આપી દીધા છે. આ અનામત સરકારી ફ્લેટ, હાઉસિંગ સ્કીમ અને અન્ય રહેણાંક યોજનામાં લાગુ થશે.
આ પગલું કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા લેવામાં આવ્યું છે. જે પ્રધાનમંત્રી મોદીના વિઝન “સબકા સાથ, સબકા વિકાસ” અને “સુગમ્ય ભારત અભિયાન”ના વિચારને જમીન પર ઉતારવાની દિશામાં એક મોટું પગલું છે. ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ્સે આ નિર્ણય લઈને એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કર્યો છે. તેમાં સ્પષ્ટ કર્યું છે કે, હવે દિવ્યાંગજનોને કેન્દ્રીય સરકારી રહેણાંક આવાસ ફાળવવામાં ૪ ટકા અનામત મળશે. આ નિર્ણય દિવ્યાંગજન અધિકાર અધિનિયમ, ૨૦૧૬ અંતર્ગત લેવામાં આવ્યો છે. આ અધિનિયમ દિવ્યાંગજનોને બરાબરીનો અધિકાર અને જીવનની ગરિમાની ખાતરી કરે છે.
મનોહર લાલ ખટ્ટરે આ નિર્ણયને સમાવેશી પ્રશાસનની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પહેલ માની છે. તેમણે કહ્યું કે, આ નીતિગત બદલાવ ભારતને એક એવો દેશ બનાવવાની દિશામાં લઈ જાય છે જ્યાં દરેક નાગરિકને સમાન અવસર મળે, પછી ભલે તેની શારીરિક સ્થિતિ કંઈ પણ હોય. તેમણે આ વાત પર ભાર આપ્યો કે દિવ્યાંગજનોને ન ફક્ત સહાનુભૂતિની જરૂર છે પણ સમાન ભાગીદારી અને સન્માન સાથે તેમના જીવનને આસાન બનાવવાનું સરકારની જવાબદારી છે.
આ નિર્ણય ન ફક્ત દિવ્યાંગજનોને સુલભ અને સુરક્ષિત આવાસ આપવામાં મદદ કરશે, પણ તેમને મુખ્યધારામાં લાવીને તેમની સામાજિક અને આર્થિક ભાગીદારી પણ વધારશે. આ પગલું એક સમાવેશી અને એક્સેસિબલ ઈન્ડિયાનો પાયો વધારે મજબૂત કરશે.