Rajkot,તા.26
નંદ કે દ્વાર મચી હોરી, બાબા નંદ કે દ્વાર… રાજકોટની પુષ્ટિ સૃષ્ટિ માટે વસંતોત્સવમાં હોરી-રસિયાની હેલીમાં તરબતર થવાનો અનેરો અવસર પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. રાજકોટ શહેરના અંબાજી કડવા પ્લોટમાં શ્રી સર્વોત્તમ હવેલી ખાતે બિરાજમાન પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રીમાન ગોપેશકુમારજી મહારાજના આશીર્વાદથી તેમના આત્મજ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયના પ્રાગટ્ય દિવસ ફાગણ સુદ બીજના રોજ પ્રભુના સુખાર્થે હોરી-રસિયા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ કાર્યક્રમ શ્રી સર્વોત્તમ સંસ્થાન દ્વારા ઉત્સવનાયક ગોસ્વામી શ્રીમાન પરાગકુમારજી મહોદયના મંગલ સાંનિધ્યમાં ૦૧ માર્ચ, ૨૦૨૫ને શનિવારે રાજકોટમાં અંબીકા ટાઉનશીપના મુખ્ય માર્ગ-૨ પર શ્રી કૃષ્ણધામ હવેલી ખાતે યોજાશે. જેનો આરંભ સાંજે ૦૫.૩૦ કલાકે વધાઈ-કિર્તનથી કરાશે, ત્યારપછી સાંજે ૦૬ કલાકે શ્રી સર્વોત્તમ પાઠશાળાની કૃતિ પ્રસ્તુત કરાશે. તેમજ સાંજે ૦૬.૩૦ કલાકે આપશ્રીના વચનામૃત, સાંજે ૦૭ કલાકે આપશ્રીના કેસરીસ્નાન તથા સાંજે ૦૭.૩૦ કલાકે મહાપ્રસાદનો લાભ મળશે. ત્યારબાદ રાત્રે ૦૮.૩૦ કલાકે કિર્તનકારો દ્વારા ભક્તિમય વાતાવરણમાં હોરી-રસીયાનો આનંદ માણી શકાશે. વધુ માહિતી માટે મો.નં. ૯૯૦૯૪ ૫૫૪૫૫, મો.નં. ૯૯૭૮૨ ૬૯૯૯૯ અથવા મો.નં. ૯૪૨૭૪ ૧૦૩૬૯ પર સંપર્ક કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજી સ્થાપિત પુષ્ટિ સંપ્રદાયમાં વસંતપંચમીથી ધૂળેટી સુધી ૪૦ દિવસ શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીનીજી યુગલ સ્વરૂપને અબીલ-ગુલાલ-કેસૂડાં એમ વિવિધ રંગોથી ખેલવવામાં આવે છે. વૈષ્ણવોમાં રસિયા (હોળી ગીતો)નો થનગનાટ જોવા મળે છે. ત્યારે સર્વોત્તમ સેવા સંસ્થાને આ પાવન પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સમાજને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.