જસદણના બળધોઈના ખાતેદાર ખરાઈ મામલે જમીન વેચાણની નોંધ રદ થવા સામેની અપીલ નાયબ કલેક્ટરે રદ કરવા સામે રિવિઝન કરી હતી
Jasdan,તા.29
જસદણ તાલુકા બળધોઈ ગામે ખાતેદાર ખરાઈ મામલે જમીન વેચાણ વ્યવહારની નોંધ રદ થવા સામેની અપીલ નાયબ કલેક્ટરે રદ કરવા સામેની રિવિઝન અરજી રાજકોટ જિલ્લા કલેકટરે મંજૂર કરી અરજદારની વાડાની જમીન ખેતીની જમીન ગણીને ખાતેદાર ખરાઈ દાખલો માન્ય રાખવા હુકમ કર્યો છે.વધુ વિગત મુજબ, જસદણ તાલુકાના બળધોઈ ગામની હકકપત્રકની દાખલ થયેલ વેચાણ વ્યવહારની નોંધ કરવા સંબંધે રતિલાલ ટીટીયા દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં ખાતેદાર ખરાઈનો દાખલો રજુ ન કરતા વેચાણની નોંધ રદ કરાઈ હતી. આથી અરજદાર દ્વારા જસદણ નાયબ કલેકટર સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી, જે કેસમાં અરજદાર તાલાલાના આંબળાસ ગામે પોતાની જમીન ધરાવે છે, તેવી રજૂઆત બાદ તપાસમાં તે જમીનો વાડાની જમીન સંયુક્ત ખાતે હોવાથી અને ૭,૧૨ની ખરાઈ કરતા જમીનમાં વાવેતર થતું ન હોય માત્ર વાડા તરીકે જમીનનો ઉપયોગ થતો હોવાથી અરજદારને ખેડુત ખાતેદાર ગણી શકાય નહી તેવો જસદણ નાયબ કલેકટર દ્વારા હુકમ કરાયો હતો. જે હુકમથી નારાજ થઈ અરજદાર રતીલાલ ટીટીયાએ રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ બોમ્બે લેન્ડ રેવન્યુ જોગવાઈ મુજબ અપીલ/રિવિઝન દાખલ કરવામાં આવી હતી. તેમાં અરજદારના એડવોકેટની ૨જુઆતમા સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મસ એકટ ૧૯૫૧ના પ્રકરણ એકમાં કલમ-૨માં થયેલ ખેતીની જમીનની વ્યાખ્યામાં કઈ કઈ જમીન આવી શકે તેની કાયદાકીય વિગતો રજુ કરતા તેમજ લેન્ડ રેવન્યુ કોડની કલમ-૧૬, ૧૭, ૨૫માં દર્શાવ્યા ખાતેદાર ‘ખાતુ’ અને ‘સહ ખાતેદાર’ ની વ્યાખ્યા ધ્યાને લઈ રાજકોટ જિલ્લા કલેકટરે અરજદારની રિવિઝન અરજી મંજુર કરી, જસદણ નાયબ કલેકટરનો હુકમ રદ કરીને વાડાની જમીન ખેતીની જમીન ગણવા હુકમ ફરમાવ્યો છે. આ કામમાં અરજદારના એડવોકેટ દ્વારા બોમ્બે લેન્ડ રેવન્યુ જોગવાઈઓ તથા સૌરાષ્ટ્ર લેન્ડ રિફોર્મસ એકટની જોગવાઈઓ તથા ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓને રજુ રાખવામાં આવ્યા હતાં. આ કામમાં અરજદાર તરફે એડવોકેટ આનંદ બી. જોષી, જતીન વી. ઠકકર, અતુલ મહેતા, વિજય ભટ્ટ, સંદિપ ડી. પાનસુરીયા, હિત અવલાણી, દેવાંગ વિ. ભટ્ટ તથા નયન વડગામા રોકાયા હતા.