Ahmedabad,તા.12
અમદાવાદમાં સેન્ટ્રલ એજન્સીઓની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે જ રૂ. 30 લાખની લાંચ કેસમાં અમદાવાદના ઇનકમ ટેક્સ અધિકારી સંતોષ કરનાનીના ઘરે સીબીઆઇએ સર્ચ કર્યું હતું. કરનાનીના કરોડો રૂપિયાનું રોકાણ જૈને ત્યાં હતા તેવા ઇન્ફિનિયમ ટોયોટાના અજિત મહેતાના ઘરે પણ આયકર વિભાગે સર્ચ કરીને કરોડો રૂપિયાની છૂપાવેલી આવકના પુરાવા મેળવી લીધા છે.
કરનાની ઉપરાંત ઘણા અધિકારીઓના રૂપિયા મહેતા ફેરવતા હતા. તેમણે ગુજરાતમાં ઘણી એજન્સીઓ પણ લીધી છે. હવે કોના રૂપિયા મહેતા પાસે હતા તેની તપાસ ચાલી રહી છે.
અમદાવાદના જાણીતા બિલ્ડર પાસેથી રૂ. 30 લાખની લાંચ માગવાના કેસમાં એસીબીએ ઇનકમ ટેક્સ ઓફિસર સંતોષ કરનાની વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. વગદાર કરનાની ભાગવામાં સફળ રહ્યા હતા. આ પ્રકરણની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ કરનાનીના ઘર સહિત ઘણી જગ્યાએ દરોડા પાડીને તપાસ શરૂ કરી હતી.
જેમાં ઘણા પુરાવા મળ્યા છે. સીબીઆઈની તપાસના બીજા જ દિવસે ઇનકમ ટેક્સની ટીમે શહેરની જાણીતી ઓટોમોબાઇલ એજન્સી ઇન્જિનિયમ ટોયોટાના અજિત મહેતાના ઘરે તથા શો રૂમ પર દરોડા પાડીને તપાસ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જ અધિકારીઓએ શોધી કાઢ્યું હતું કે, જેમના પર લાંચનો આરોપ છે તે કરનાનીનું ખૂબ જ મોટું રોકાણ ઇન્ફિનિયમ ટોયોટામાં કરાયું છે. આ ઉપરાંત શેર દલાલો અને જમીન દલાલીનું કામ કરતા લોકો પાસે પણ કરનાનીએ ઘણું રોકાણ કર્યું હોવાની વિગતો મળતા તેમને ત્યાં પણ તપાસ શરૂ થઇ ગઇ છે.
કરનાનીએ અમદાવાદના ઘણા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસે રોકાણ કર્યું છે તેની તપાસ ચાલી રહી છે. ઇન્ફિનિયમ ટોયોટાના અજિત મહેતાના ઘર, ઓફિસ, શો રૂમ અને ગોડાઉન પર તપાસ ચાલી રહી છે. અજિત મહેતા પાસે કરનાની જેવા કેટલા લોકોએ રોકાણ કર્યું હતું તેની પણ તપાસ ચાલી રહી છે.
ઓન મની લઇને જ ગાડી વેચવાની લાલચને કારણે મહેતાની મદદે કોઇ આવ્યું નહીં
ટોયોટાની પ્રીમિયમ ગાડીઓ માટે વેઇટિંગ ચાલી રહ્યું છે ત્યારે મહેતા લોકોના એડવાન્સ રૂપિયા છ આઠ મહિના વાપર્યા બાદ ગાડીની ડિલિવરી આપતા હતા. બીજી તરફ તેમના એજન્ટો મારફતે કોઇ ઓન મની (વધુ રૂપિયા સેંસ આપીને) ગાડી ખરીદવા તૈયાર થઇ જાય તો તેને ગાડી મળી જતી હતી.
રાજકીય અગ્રણીઓ, મંત્રીઓ કે ધારાસભ્યોની ભલામણ હોય તો પણ તેમને પ્રાયોરિટી આપવાના બદલે ઓન મની જ ગાડીઓ-વેચવાનો મહેતા આગ્રહ રાખતા હોવાની ચર્ચા ચાલી રહી છે. સરકારી અધિકારીઓની ભલામણનો પણ અનાદર કરાતો હતો. આ કારણોસર ચોક્કસ રાજકીય અગ્રણીઓ અને સરકારી અધિકારીઓની મહેતાએ નરાજગી વહોરી લીધી હતી.
લાંચિયા અધિકારીઓના રૂપિયા ફેરવતા લોકો પર તવાઇ, યાદી બની રહી છે
ગુજરાતમાં નોકરી માટે આવેલા અધિકારીઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને તેનું રોકાણ જુદી જુદી એજન્સીઓ કે ધંધામાં કરતા હોય છે. કરનાનીના કેસ બાદ ડિપાર્ટમેન્ટને આ લિંક મળતા સરકારી અધિકારીઓના રૂપિયા ફેરવતા લોકો પર તવાઇ આવશે. આયકર વિભાગની ટીમે આવા લોકોની યાદી તૈયાર કરવાનું પણ શરૂ કરી દીધુ હોવાનું જાણી શકાયું છે.