New Delhi,તા.19
હવે દેશમાં ઉચ્ચ શિક્ષણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહની બેઠકોની સંખ્યા વધારવાનું સૂચન કર્યું છે. ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં વિજ્ઞાન પ્રવાહની બેઠકોની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
સરકારનો આ નિર્ણય એ ડેટાના આધારે આવ્યો છે જે દર્શાવે છે કે, છેલ્લા બે વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાંથી ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 9 લાખનો વધારો થયો છે. આ વધારો દર્શાવે છે કે હવે ફક્ત છોકરાઓ જ નહીં પણ છોકરીઓ પણ વિજ્ઞાનને પ્રાથમિકતા આપી રહી છે.
શિક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 2022માં વિજ્ઞાન પ્રવાહમાં પાસ થવાની ટકાવારી 52.2% હતી, જે 2023માં વધીને 56.2% અને 2024માં 61% થઈ. આનું મુખ્ય કારણ અટલ ટિંકરિંગ લેબ, વધુ સારી વિજ્ઞાન પ્રયોગશાળાઓ અને શાળા સ્તરે પ્રશિક્ષિત શિક્ષકોની ઉપલબ્ધતા છે.શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યોને મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટપણે નિર્દેશ આપવામાં આવ્યો છે કે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આવેલી કોલેજોમાં વિજ્ઞાન પ્રવાહમાં બેઠકોની સંખ્યા વધારવી જોઈએ.
આ ઉપરાંત, આ કોલેજોમાં આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ અને અન્ય જરૂરી સંસાધનોની જોગવાઈ સુનિશ્ર્ચિત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી શકે.મંત્રાલયે એવું પણ સૂચન કર્યું છે કે, વિદ્યાર્થીઓને કારકિર્દી કાઉન્સેલિંગ દ્વારા વિજ્ઞાન પ્રવાહના સંભવિત ફાયદા અને તકો વિશે જણાવવું જોઈએ, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે આ ક્ષેત્રમાં આગળ વધી શકે.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, જો આપણે છેલ્લા ત્રણ વર્ષથી દેશભરમાં ધોરણ 12 ના પરિણામોનો અભ્યાસ કરીએ તો નિષ્કર્ષ એ નીકળે છે કે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓના પાસઆઉટનો આંકડો સતત વધી રહ્યો છે.અગાઉ આર્ટ્સમાં પાસઆઉટનો આંકડો સૌથી વધુ હતો પરંતુ વર્ષ 2022 થી વિજ્ઞાન પ્રવાહમાં આ આંકડો વધી રહ્યો છે. આનાથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા બે વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પાસઆઉટનો આંકડો લાખોનો વધ્યો છે. એક અંદાજ મુજબ, વર્ષ 2022 સુધીમાં, દેશભરમાં વિજ્ઞાન પ્રવાહમાં 50 લાખથી વધુ બેઠકો હતી.