Ahmedabad તા.5
રાજ્યના રમતગમત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના 33 જિલ્લાના કલેક્ટર ઓને અને અન્ય અધિકારીઓને હર ઘર તિરંગાની ઉજવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.
મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે , આ વર્ષે તિરંગાનો કાર્યક્રમ ત્રણ તબક્કામાં યોજાવાનો છે. પ્રથમ તબક્કામાં બેથી આઠ ઓગસ્ટ દરમિયાન રાખી બનાવવાના વર્કશોપ અને સ્પર્ધાઓ, વોલ પેઇન્ટિંગ, લેટર ડ્રાઇવ, ક્વિઝ સ્પર્ધા વગેરે યોજાશે.
બીજો તબક્કો 9થી 12 ઓગસ્ટ દરમિયાન સમુદાયિક સફાઈ ઝુંબેશ, તિરંગા યાત્રા અને રોલિઝ,વોશ ઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્વચ્છતા દિવસ સાથે યોજાશે. જ્યારે ત્રીજો તબક્કો 13થી 15 ઓગસ્ટ દરમિયાન સ્વચ્છતા સંવાદ અને જાગૃતિ દિવસ, સ્વતંત્રતા દિવસની તૈયારી અને ઉજવણી સાથે યોજાશે.
હર ઘર તિરંગા અને સ્વતંત્ર પર્વની ઉજવણીમાં શાળાઓ કોલેજો અને સ્થાનિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી સુનિશ્ચિત કરાશે. સ્વચ્છ સુજલ ગામનો સંકલ્પ લેવાશે. બધી શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર સમારોહનું આયોજન કરાશે.
યુવાનોને તિરંગા સાથે સેલ્ફી લેવા અને તેના અપલોડ કરવા પ્રોત્સાહિત કરાશે, ગ્રામ પંચાયત અને શાળામાં ધ્વજ વંદન સમારોહનું આયોજન કરાશે. સ્થાનિક સમુદાયો અને શાળાના બાળકોની ભાગીદારી સુનિશ્ચિત કરાશે.
શહેરી શાળાઓ અને જાહેર સ્થળોએ દિવાલ સજાવાશે . ગ્રામીણ વિસ્તારોમાં પણ શાળાઓ અને જાહેર ઈમારતોની દીવાલોને સજાવાશે. અનેકવિધ કાર્યક્રમ દ્વારા રાજ્યભરમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને જાગ્રત કરાશે.