New Delhi, તા.11
ભારતમાં અસ્થિરતા ફેલાવવા તથા આતંકી કૃત્યો આચરતા પાકિસ્તાનને વધુ એક વખત ભારતે તતડાવ્યુ હતું. યુનોની બેઠકમાં ત્રાસવાદને પ્રોત્સાહન આપતા તથા વૈશ્વિક સુરક્ષા માટે જોખમી પાકિસ્તાન પાસેથી કોઇ સલાહની જરૂર ન હોવાનું ભારતે રોકડુ પરખાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ભારતે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. ભારતે સ્પષ્ટ કહી દીધું કે, તેને એવા દેશ પાસેથી કોઈ પાઠ શીખવાની કોઈ જરૂર નથી જે પોતે આતંકવાદીઓને આશ્રય અને ભંડોળ પૂરું પાડીને વિશ્વની સુરક્ષા માટે જોખમ ઊભુ કરે છે.
જીનીવામાં ભારતના સ્થાયી મિશનના કાઉન્સેલર ક્ષિતિજ ત્યાગીએ કહ્યું હતું કે, ‘અમારે ફરી મજબૂરીવશ એવા દેશની ઉશ્કેરણીજનક વાતોનો જવાબ આપવો પડ્યો છે, જેના નેતાઓએ હાલમાં જ ખુદ પાકિસ્તાનને ‘ડમ્પ ટ્રક’ કહ્યુ હતું. કદાચ આ એવા દેશ માટે યોગ્ય ઉદાહરણ છે જે આ પ્લેટફોર્મ પર જૂઠાણા અને જૂના પ્રોપોગેન્ડાનું વારંવાર પુનરાવર્તન કરે છે.’
ત્યાગીએ આ વર્ષે એપ્રિલમાં થયેલા પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘આપણે 9/11 ને ભૂલવું ન જોઈએ, જેની વર્ષગાંઠ દુનિયા ઉજવી રહી છે. એ પણ યાદ રાખવું જોઈએ કે, જે દેશે તેના માસ્ટરમાઇન્ડ (ઓસામા બિન લાદેન) ને આશ્રય આપ્યો હતો, તેણે પાછળથી તેને શહીદ કહ્યો હતો.’
આતંકવાદી હુમલા વિશે વાત કરતા તેમણે કહ્યું કે, પુલવામા, ઉરી, પઠાણકોટ, મુંબઈ… આ યાદી ક્યારેય ખતમ જ થતી નથી. આમ છતાં, પાકિસ્તાન અહીં આવે છે અને નૈતિક હોવાનો ડોળ કરે છે, જ્યારે હકીકતમાં તે એવા નેટવર્ક્સને ભંડોળ અને આશ્રય આપે છે જે વૈશ્વિક સુરક્ષાને જોખમમાં મૂકે છે. દુનિયા આ નાટકને ખૂબ સારી રીતે સમજે છે. પહલગામ હુમલા પર ભારતની ચોક્કસ અને પ્રમાણસર કાર્યવાહી એ પુરાવો છે કે અમે ભૂલીશું નહીં.’
તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, ‘અમે આતંકવાદના આશ્રયદાતા પાસેથી કોઈ પાઠ નથી શીખવો. ન તો લઘુમતીઓ પર અત્યાચાર કરનાર પાસેથી કોઈ ઉપદેશ જોઈએ છે, ન તો એવા દેશ પાસેથી કોઈ સલાહ જોઈએ છે જેણે પોતાની વિશ્વસનીયતા જ સમાપ્ત દીધી છે.’