New Delhi,તા.27
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો) દ્વારા ભારતની સૌથી મોટી કમ્યુનિકેશન સેટેલાઇટ CMS-03 હવે લોન્ચ માટે તૈયાર છે. આ સેટેલાઇટને LVM3 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવી રહી છે. આ મિશનને બે નવેમ્બરે સતિશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવશે. આ સ્પેસ સ્ટેશન શ્રીહરિકોટામાં આવેલું છે. LVM3 રોકેટનું આ પાંચમું ઓપરેશન છે. આ સેટેલાઇટ દ્વારા ભારતની ડિજિટલ કનેક્ટિવિટીને વધુ સારી રીતે વિકસિત કરવામાં આવી રહી છે.
CMS-03 એક કમ્યુનિકેશન સેટેલાઇટ છે. આ એક મલ્ટીબેન્ડ કમ્યુનિકેશન સેટેલાઇટ છે જેની મદદથી ભારતના દરેક ખૂણામાં એની સર્વિસને પહોંચાડી શકાશે. આ સેટેલાઇટનું વજન અંદાજે 4400 કિલોગ્રામ છે. ભારતની જમીન પરથી લોન્ચ કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી અને વજનદાર સેટેલાઇટ છે જેને જીયોસિન્ક્રોનસ ટ્રાન્સફર ઓરબિટમાં મોકલવામાં આવી રહી છે. આ એડવાન્સ સેટેલાઇટને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. એનાથી ભારતભરના દરેક ખૂણા અને દરિયામાં પણ એની સર્વિસ પહોંચાડવામાં આવશે.
CMS-03 સેટેલાઇટ દ્વારા ભારતમાં ડિજિટલ કનેક્ટિવિટીમાં ખૂબ જ વધારો કરવામાં આવી રહ્યો છે. એના દ્વારા સિવિલ, સ્ટ્રેટેજિક અને મેરિટાઇમ જેવા દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ કરવામાં આવશે. એક વાર આ સેટેલાઇટ કામ કરતું શરૂ થશે ત્યાર બાદ ભારતની કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ શક્તિશાળી બનશે. એના દ્વારા ભારતના નાના-નાના ગામડાઓમાં પણ સર્વિસ પહોંચાડી દેવામાં આવશે. આ મિશન દ્વારા LVM3 રોકેટ કેવી રીતે કામ આવી શકે એ વિશે પણ જાણવા મળી રહ્યું છે. આ રોકેટ હવે કમર્શિયલ સેટેલાઇટ લોન્ચર પણ બની શકે છે.
2023ની જુલાઈમાં ચંદ્રયાન 3ની સફળતા બાદ LVM3 ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. ચંદ્રયાન 3ના લોન્ચ માટે આ રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચંદ્રની સાઉથ પોલમાં જનારું ભારત પહેલો દેશ બન્યું હતું. એ માટે LVM3એ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સફળતા બાદ હવે 2 નવેમ્બરે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ એનો ઉપયોગ કમર્શિયલ પણ કરવામાં આવશે. લોન્ચ પહેલાંની તમામ તૈયારી થઈ ચૂકી છે. લોન્ચ કરવા પહેલા ફ્યુઅલ ભરવાનું તેમજ ફાઇનલ રિહર્સલની તૈયારી આગામી થોડા દિવસમાં કરવામાં આવશે.

