Indonesia,તા.29
ઈન્ડોનેશિયાનાં સુમાત્રામાં મુશળધાર વરસાદને કારણે સર્જાયેલાં ભૂસ્ખલનમાં 27 લોકોનાં મોત થયાં છે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અઠવાડિયે પ્રદેશમાં ભૂસ્ખલનથી મૃત્યુઆંક વધી રહ્યો છે. બચાવ કાર્યકરોએ ઇન્ડોનેશિયાનાં ઉત્તર સુમાત્રા પ્રાંતનાં મેદન શહેરથી બેરાસ્તાગી શહેર તરફ જતાં રસ્તા પરનાં ભૂસ્ખલનમાં ઝાડ, કાદવ અને ખડકોથી ઢંકાયેલી પ્રવાસી બસમાંથી ડ્રાઇવર અને મુસાફરોનાં મૃતદેહો બહાર કાઢ્યાં હતાં.
આ માર્ગ રાજધાની મેદનથી પ્રદેશનાં અન્ય જિલ્લાઓ માટેનો મુખ્ય માર્ગ છે. બુધવારની સવારથી ભૂસ્ખલનથી રસ્તામાં ઘણાં વાહનો ફસાયાં છે જેમાં એક બસ પણ હતી આ બસમાંથી 27 જેટલાં મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં. ભૂસ્ખલનમાં વધુ 10 લોકો ઘાયલ થયાં હતાં અને તેઓને મેદન શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
ઉત્તર સુમાત્રા પોલીસનાં જણાવ્યા મુજબ ઇન્ડોનેશિયાની શોધ અને બચાવ એજન્સી દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે તે રસ્તા પર ભૂસ્ખલન સ્થળો વચ્ચે હજુ પણ ઘણાં વાહનો ફસાયેલાં છે. ભૂસ્ખલનમાંથી તેમને બચાવવામાં ઓછામાં ઓછા બે દિવસનો સમય લાગી શકે છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં પણ ઉત્તર સુમાત્રા પ્રાંતનાં પર્વતીય વિસ્તારોમાં ચાર સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલન થયું હતું. ઑક્ટોબરથી માર્ચ દરમિયાન મોસમી વરસાદ ઇન્ડોનેશિયામાં અચાનક પૂર અને ભૂસ્ખલનનું કારણ બને છે.