Junagadh,તા.06
ફાયનાન્સ કંપનીને કાયદેસરની કાર્યવાહી કરતી અટકાવવા કરેલ મનાઈ હુકમની અરજી જુનાગઢ કન્ઝયુમર કોર્ટે નામંજૂર કરી છે.આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આઇસીઆઈસી હોમ ફાયનાન્સ કંપની લિમિટેડ પાસેથી પ્રકાશભાઇ જગજીવનભાઈ જોશી એ વર્ષ ૨૦૧૮માં દસ વર્ષની અવધિ માટે હોમ લોન લીધેલ. આ સાથે આઇસીઆઈસી પૂડનસિયલ લાઇફ ઈન્સ્યોરન્સમાંથી વીમો પણ ઉતરાવેલ. લોન લેનાર પ્રકાશભાઇ ૨૦૨૩માં અવસાન પામે છે. આથી ગુજરનાર પ્રકાશભાઈના પરિવારના સભ્ય દ્વારા ફાયનાન્સ કંપની અને ઇન્સ્યોરન્સ કંપની વિરુધ્ધ જુનાગઢ ગ્રાહક સુરક્ષા ફોરમ સમક્ષ કેસ દાખલ કરવામાં આવેલ. આ કેસ દરમિયાન અરજદાર દ્વારા આંક-૫થી લોનના હપ્તા ન ભરવા વચગાળાનો મનાઈ હુકમ ફરમાવવાની દાદ માગવામાં આવેલ. પરંતુ ફાયનાન્સ કંપની તફથી રોકાયેલા વકીલ અભિષેક એન. શુકલા દ્વારા દલીલ કરવામાં આવેલ કે સરફેશી એક્ટ -2002 કલમ-૩૪ અંતર્ગત કોઈપણ દીવાની કોર્ટ ઋણ વસુલાત ટ્રીબ્યુનલ અથવા એપેલેટ ટ્રીબ્યુનલને આ અધીનીયમથી અથવા તે હેઠળ નિર્ણય કરવાની સત્તા આપી હોય તેવી કોઈપણ બાબતના સંબંધમાં, કોઈપણ દાવો અથવા કાર્યવાહી કરવાની હકુમત રહેશે નહિ અને કોઈપણ કોર્ટ અથવા બીજી સતામંડળ આ અધિનિયમથી અથવા તે હેઠળ અથવા બેંક અને નાણાકીય સંસ્થાના લેણાં-દેવાની વસુલાત બાબત કોઈ મનાઈ હુકમ આપી શકાશે નહિ. જે દલીલ ધ્યાને લઇ જુનાગઢ કન્ઝયુમર કોર્ટે અરજદારની હોમ લોનના હપ્તા ભરવામાંથી વચગળાનો મનાઈ હુકમ ફરમાવવાની અરજી ફગાવેલ અને હુકમ કરેલ કે મિલકત લોન પર હપ્તા ન ભરવાનો આ પ્રકારનો મનાઈ હુકમ ફરમાવવાની સતા કન્ઝયુમર કોર્ટને નથી. આ કેસમાં ફાયનાન્સ કંપની વતી એડવોકેટ નલીકુમાર કે. શુક્લ, અભિષેક એન. શુક્લ, હેતલ એ. શુક્લ, જય એન. શુક્લ, જય ડી. બરદાણા, અજય એન. રાઠોડ, ભાર્ગવી એમ. પંડયા, મિતલ આર. ખખ્ખર, ભરત ટી. ઉપાધ્યાય, ધર્મેશ કે. દવે, વિશ્વરાજસિંહ કે. ગોહિલ, અવિન એસ. બાપત અને સહાયક તરીકે ભુવન કે, ડાંગર તથા નિકેત એસ. જોષી રોકાયેલા હતા.