વાવાઝોડું અને વરસાદથી થયેલા નુકસાનના વળતરનો ક્લેમ વીમા કંપનીએ નામંજૂર કરતા ગ્રાહક આયોગમા દાદ માંગી તી
Morbi,તા.19
સિરામિક યુનિટમાં વાવાઝોડું વરસાદથી થયેલા નુકસાનના વળતરનો ક્લેમ વીમા કંપનીએ નામંજૂર કર્યાની ફરિયાદમાં ગ્રાહક આયોગ દ્વારા રૂપિયા 33.30 લાખ વળતર છ ટકા વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો છે.
આ અંગેની હકીકત મુજબ, મોરબીની સિમ્પોલો સિરામિક કંપની દ્વારા માલ મિલકત અને મશીનરી ઉપર યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની વીમા પોલિસી લેવામાં આવી હતી. દરમિયાન સખત વરસાદ અને વાવાઝોડાને કારણે નુકસાન થયેલ હતું. જેમાં નુકસાન પામેલ માલ મિલકત અને મશીનરી અંગે વળતર મેળવવા વીમા કંપની સમક્ષ કલેમ દાખલ કરવામાં આવેલ હતો. તેમાં કંપનીના સર્વેયર દ્વારા વીમાધારકે રજૂ કરેલ દસ્તાવેજો સહિત થયેલ નુકસાનની આકારણી કરી રૂ. 33.30 લાખનું નુકસાન વળતર ચૂકવવા પાત્ર છે તેવો રિપોર્ટ વીમા કંપનીને સુપ્રત કર્યા છતાં વીમા કંપનીએ આ રકમ ચૂકવેલ ન હતી. વીમાધારક સિમ્પોલો સિરામિકના માલિક જયેશભાઈ અઘારા દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ (મુખ્ય) સમક્ષ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019ની કલમ 35 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના કામે ફરિયાદી દ્વારા તમામ દસ્તાવેજી આધાર પુરાવાઓ સોગંદનામા સહિત રજૂ કરવામાં આવેલ હતા. તેમાં વીમા કંપનીએ મૂળભૂત રીતે એવો બચાવ લીધેલ કે વીમાધારકે કરેલ ફરિયાદ સમય મર્યાદા બહારની છે, તેમજ વીમા પોલિસીની શરતો આધીન વીમાધારક આવી ફરિયાદ કરી શકે નહીં. બંને પક્ષકારોની લેખિત રજૂઆતો દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષકારોના વકીલોની દલીલો સાંભળ્યા બાદ જિલ્લા ગ્રાહક આયોગ દ્વારા ઠરાવવામાં આવેલ હતું કે,સીપીસી ઓર્ડર 12 રુલ 6 પ્રમાણે વીમા કંપનીએ રેકર્ડ ઉપર કરેલ રજૂઆત અને ફરિયાદની હકીકતો મુજબ સર્વેયરે નક્કી કરેલ નુકસાન વળતરની રકમ વીમા કંપનીએ ચૂકવવી જરૂરી હતી, જે ન ચૂકવીને વીમા કંપનીએ અયોગ્ય વેપારનીતિ (અનફેર ટ્રેડ પ્રેક્ટિસ) અખત્યાર કર્યાનું સાબિત થાય છે. તેથી વીમાધારકની ફરિયાદ મંજૂર રાખવામાં આવે છે અને નુકસાન વળતરની રકમ 33.30લાખ ફરિયાદ દાખલ કર્યાથી 6 ટકા વ્યાજ સાથે દિવસ 60માં ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કરવામાં આવે છે. જો આ રકમ 60 દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો વીમા કંપનીએ વ્યાજની રકમ 6ને બદલે 9 ટકા લેખે ચુકવવી પડશે. આ કામમાં કન્ઝ્યુમર કાયદાના નિષ્ણાંત એડવોકેટ ગજેન્દ્ર જાની, રાજેશ દલ, જતીન ભટ્ટ, નિખિલ ભટ્ટી, મહેશ જોષી, નીલેશ દવે, રીતુ પરમાર રોકાયા હતા.