Jammu and Kashmir ,તા.29
ગત તા.22મી એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી ઓના હુમલા બાદ સુમસામ બનેલા કાશ્મીરમાં ટુરિસ્ટોને પરત લાવવા જમ્મુ કાશ્મીરની સરકારના ટુરિઝમ વિભાગે કાશ્મીર ચલો અભિયાન શરૂ કર્યુ છે. જેના ભાગરૂપે મહારાષ્ટ્ર,અને ગુજરાતના ટુર ઓપરેટરોના ડેલિગેશનને કાશ્મીર બોલાવી મુખ્યમંત્રી ઓમર અબદુલ્લા સાથે મીટીંગ યોજી કાશ્મીરને ફરી ધમધમતુ કરવા પ્રયાસો હાથ ધર્યા છે.
તેમણે પહેલગામમાં મંગળવારે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લા સાથે બેઠક કરી હતી, જેમાં મુખ્ય પ્રધાને કાશ્મીરમાં હવે શાંતિ છે એમ કહીને ટૂરિસ્ટોની સલામતીનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાની ખાતરી ટૂર-ઑપરેટરોને આપી હોવાનું જાણવા મળ્યું હતું.
મહારાષ્ટ્ર ટૂર ઑપરેટર્સ અસોસિએશન (MTOA)ના અધ્યક્ષ અને રાજા રાણી ટ્રાવેલ્સના ડિરેક્ટર વિશ્વજિત પાટીલે ના જણાવ્યા મુજબ ‘એપ્રિલથી જૂન મહિનામાં કાશ્મીરમાં ટૂરિસ્ટોની ચિક્કાર ગિરદી હોય છે એની સામે એક મહિનાથી ગણ્યાગાંઠયા ટૂરિસ્ટો જ ધરતીના સ્વર્ગ સમાન કાશ્મીરમાં જઈ રહ્યા હોવાથી કાશ્મીર ટૂરિઝમની હાલત બહુ નાજુક થઈ ગઈ છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાએ સુરક્ષાની ખાતરી આપ્યા બાદ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ તરીકે અમે ટૂરિસ્ટોને કાશ્મીરમાં લાવવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રના મુખ્ય 40 અને ગુજરાતના ત્રણ ટૂર-ઑપરેટરો ટૂરિસ્ટોને વિશ્વાસ અપાવીએ છીએ કે કાશ્મીરમાં સિક્યોરિટી વધારવામાં આવી છે અને અહીંની સ્થિતિમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.
એટલે અત્યારે ગભરાવાની જરાય જરૂર નથી. અમને વિશ્વાસ છે કે કાશ્મીર ચલો અભિયાનનો પોઝિટિવ મેસેજ ગયા બાદ ટૂરિસ્ટો કાશ્મીરમાં આવવા લાગશે.’
MTOAના પદાધિકારી અને મુંબઈની હીના ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના ડિરેક્ટર પ્રભુલાલ જોશીએ જણાવ્યા મુજબ ‘આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં કરેલા ઑપરેશન સિંદૂર પછી કાશ્મીરમાં શાંતિ છે. હુમલાના ડરથી ટૂરિસ્ટો ગાયબ થઈ ગયા છે. જોકે હુમલાની ઘટનાને એક મહિનો થઈ ગયો છે અને મોટા ભાગે કાશ્મીરમાં શાંતિ સ્થપાઈ છે.
એટલે દિલ્હી અને આસપાસના વિસ્તારમાંથી ટૂરિસ્ટો ધીમે-ધીમે આવવા લાગ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના ટૂરિસ્ટો પણ કાશ્મીર આવે એ માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ઍર ટિકિટ, હોટેલ અને લોકલ લેવલે ટેક્સી અને ઘોડાવાળા ધરખમ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. વધુ ને વધુ ટૂરિસ્ટો કાશ્મીર ફરવા જાય એ માટે અમે 40 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 30થી 40 ટકા ઓછા બજેટમાં અત્યારે કાશ્મીરમાં ફરવા જવાનો સરસ મોકો છે. અમદાવાદથી શ્રીનગરની ફ્લાઇટની ટિકિટના જ્યાં 17,000 રૂપિયા હતા એ હવે માત્ર 7000 રૂપિયામાં મળી રહી છે. આવી જ રીતે કાશ્મીરની હોટેલ સહિતની તમામ સુવિધામાં ભારે ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે