Jamnagarતા ૧૯
જામનગર નાઘેડીના પાટીયા પાસે નોનવેજની રેકડી ચલાવતા પિતા-પુત્ર પર નાઘેડી ગામના ચાર માથાભારે શખ્સો એ હુમલો કર્યા ની તેમજ જે જગ્યાએ રેકડી રાખી હતીઝ તે જગ્યા પર કબજો જમાવવો હોવાથી રેકડીને દૂર ફેંકી દઈ તેમાં ૨૫ હજારનું નુકસાન કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને નાઘેડી ગામના પાટીયા પાસે જાહેર રોડ પર નોનવેજ ની રેકડી ચલાવતા સાહિલ મહમદભાઈ ગામેતી નામના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા મહમ્મદભાઈ ઉપર હુમલો કરી મુઢ ઇજા પહોંચાડવા અંગે નાઘેડી ગામના ચાર માથાભારી શખ્સો રામભાઈ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડિયા, આસીફ કાસમભાઈ કાટલીયા, ઈરફાન કાસમભાઇ કાટલીયા, તેમજ મુન્નાભાઈ પાલાભાઈ માડમ સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી જે સ્થળે રેકડી રાખીને ધંધો કરે છે, તે જગ્યા આરોપીઓએ પચાવી પાડવી હોવાના ઇરાદે પિતા પુત્રને અહીંથી ખશી જવા, અને અહીં ધંધો કરવો હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરી ધમકી આપી હતી.
ત્યારબાદ તેઓની રેકડીમાં તોડફોડ કરી અંદાજે રૂપિયા ૨૫,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું, અને રેકડી ઉપાડીને દૂર ફેંકી દીધી હતી. અને ફરીથી અહીં ધંધો કરવા આવશો તો જીવતા નહીં રહેવા દઈએ તેમ કહી ને ધાક ધમકી આપી હતી.
જેથી આ મામલો પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, જે મામલે પંચકોસી બી. ડિવિઝનના પી.આઈ. વી.એ. રાઠોડ તેમજ સ્ટાફના એમએમ જાડેજા સહિતની પોલીસ ટીમે આરોપીઓ સામે બી એન એસ કલમ ૧૧૫(૨), ૩૨૪ (૪),૩૫૨-૩, ૩૫૧-૩,૫૪ તેમજ જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે અને ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.