Jamnagar,તા.13
જામનગર એસટી વિભાગમાં અગાઉ ફરજ બજાવતા સિકયુરીટી ઓફિસર સામે નિવૃત પીએસઆઈ દ્વારા સીઓ ચેકિંગ દરમિયાન મેમોમાં ફેરફાર કરી દંડની રકમ હળવી કરી મોટાપાયે કથિત ભ્રષ્ટ્રાચાર આચરાયો હોવાની એસીબી વિભાગની વડી કચેરીમાં લેખિત ફરિયાદ-અરજી કરવામાં આવતા એસટી વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
જામનગર એસટી વિભાગમાં અગાઉ સિકયુરીટી અધિકારી તરીકે ફરજ બજાવતા કિશોર એચ. રાદડીયા સામે નિવૃત પીએસઆઈ ખુમાનસિંહ રાણા દ્વારા એસીબી વિભાગની વડી કચેરીમાં લેખિત ફરિયાદ નોંધાવવા ચકચાર મચી જવા પામી છે. મુજબ સિક્યુરિટી અધિકારી કિશોર રાદડિયાએ સીઓ ચેકિંગ દરમિયાન અલગ-અલગ 2 ખાનગી બસોને રોકીને પરમીટ ભંગના બે મેમા ફટકારવામાં આવ્યા હતાં તેમજ બસ સંચાલક પાસેથી રકમ વસુલી આપેલા મેમોમાં ફેરફાર કરી હળવી કલમ હેઠળનો નવો મેમો બનાવી દંડની રકમ હળવી કરી મોટાપાયે ભષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ફરીયાદ એસીબી વિભાગની વડી કચેરીમાં ફરીયાદ નોંધાવી છે.
ખુમાનસિંહ રાણાએ પોતાની ફરિયાદમાં કિશોર રાદડીયાએ આપેલા મેંમોમાં સુધારા કરી નવા મેમો બનાવી આપી સરકારમાં ભરવાની થતી દંડની રૂા. 1.65 લાખની જગ્યાએ રૂા. 10 હજાર કરી આપી હોવાના આક્ષેપ સાથે આધાસર પુરાવા એસસીબીમા રજૂ કર્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના વતની મોતીલાલ શર્મા યાત્રાળુ બસ લઈ દ્વારકા દર્શને આવ્યા હતા ત્યારે કિશોર રાદડીયાએ હેરાન-પરેશાન કરી મોટી રકમની માંગણી કરી હોવાની ફરિયાદ ઉચ્ચ કક્ષાએ કરી છે. એસબીમાં આ લેખિત રજૂઆતના પગલે જામનગર એસટીના સુરક્ષા અધિકારીની જામનગરથી ભૂજ બદલી કરી નાખવામાં આવી છે અને ઉચ્ચ કક્ષાએથી તપાસના આદેશો છુટયા છે ત્યારે આ પૂર્વ સુરક્ષા અધિકારી સામે શું પગલા લેવામાં આવે તેના ઉપર એસટી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની મીટ મંડાઈ છે અને લેખિત અરજીના પગલે વિભાગમાં અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.