Jamnagar,તા ૧૬,
જામનગર જિલ્લાના જામજોધપુર નજીક ગોપ ગામ પાસે એક બાઈક અને કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર ખેડૂત પ્રૌઢનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અરશીભાઈ વાણીયા નામના ૫૫ વર્ષના સગર જ્ઞાતિના ખેડૂત પ્રૌઢ ગઈકાલે પોતાના બાઈક પર બેસીને વાડીએથી ઘર તરફ આવી રહ્યા હતાઝ જે દરમિયાન ગોપ ગામના પાટીયા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી જીજે ૩૯ સી.બી. ૦૦૧૮ નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈક સવાર અરશીભાઇની ખોપરી ફાટી જતાં ગંભીર ઇજા થવાથી બનાવના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ અકસ્માતના બનાવ મામલે મૃતક ના પુત્ર આશિષ અરશીભાઈ વાણીયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર ચાલક સામે ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.