Jamnagar તા.૧૪
રાજયભરમાં ધાર્મિક દબાણો દૂર કરવાના કોર્ટના હુકમ બાદ જામનગર જિલ્લા વહિવટી તંત્રએ પણ કમર કસી છે. ગત જુલાઇ માસમાં જામનગર જિલ્લાના કુલ ૨૬૯૧ ધાર્મિક સ્થાનોને નોટીસ આપી ધાર્મિક સ્થાનોના પુરાવા રજુ કરવા જણાવાયું હતું. જે પૈકી ૧૭૯૪ અનઅધિકૃત સ્થાનોમાંથી ૧૨૭૨ એ જરૂરી દસ્તાવેજો રજુ કરી રેગ્યુલાઇઝ કરવામાં આવ્યા હતા અને જામનગર ગ્રામ્યના ૬, લાલપુરના ત્રણ સહિત ૧૧ જેટલા સ્થળોનું ડીમોલીશન કરવામાં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે, વહિવટી તંત્ર દ્વારા જામનગર જિલ્લામાં ખડકાયેલા દબાણોની સર્વે કામગીરી કરવામાં આવી હતી જે મુજબ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રેવન્યુ તંત્ર, ફોરેસ્ટ, માર્ગ અને મકાન વિભાગ તેમજ જિલ્લા પંચાયત હસ્તકની સરકારી જમીનો ઉપર ૫૦૧ ધાર્મિક દબાણો ખડકાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ જામનગર ગ્રામ્યમાં ૩૮૬, ધ્રોલમાં ૩૦, લાલપુરમાં ૨૦ માર્ગ અને મકાન વિભાગમાં ૧૬ અને જીલ્લા પંચાયતના ૧૬ દબાણોનો સમાવેશ થાય છે. હાલ તો વહિવટી તંત્રે સૌ પ્રથમ સમજાવટથી દબાણ દુર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો દબાણકર્તાઓ સ્વૈચ્છિક રીતે દબાણ નહીં હટાવે તો આગામી સમયમાં વહિવટી વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવશે. આ ઉપરાંત જામનગર શહેરમાં પણ ૨૯૮ જેટલા ધાર્મિક સ્થળોનું સર્વે કરી પુરાવાઓ રજુ કરવા નોટીસ આપવામાં આવ્યા હતા. જૈ પૈકિ અમુક સંચાલકોએ પૂરાવાઓ રજુ કરતાં તેમને રેગ્યુલાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.