Jamnagar,તા.04
ખંભાળિયાનાં વિરમદળ ગામે ૭૦ ફૂટ ઊંડા કૂવામાંથી પરપ્રાંતીય શ્રમિકની લાશ મળી આવતા હત્યા, આત્મહત્યા કે અકસ્માત? અંગે રહસ્ય સર્જાયું છે. જેથી પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કવાયત હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના વાડી વિસ્તારમાં આવેલી ગાગજી વારી સીમમાં રહેતા આલાભાઈ કરસનભાઈ રાવલિયાનામના એક આસામીની વાડીમાં આવેલા આશરે ૭૦ ફૂટ ઊંડા અને ૪૦ ફૂટ પાણી ભરેલા કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ પડયો હોવા અંગેની જાણ વાડી માલિક દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જવાનોએ તાકીદે આ સ્થળે દોડી જઈ અને કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢયો હતો.
આ મૃતદેહ મધ્યપ્રદેશ રાજયના વતની એવા અશ્વિન અજમેરસિંહ ડામોર નામના ૨૫ વર્ષના શ્રમિક યુવાનનો હોવાનું જાહેર થયું છે. મૃત્યુ અંગેનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. જેઅંગેપોલીસે પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.