Jamnagar તા.14
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.7 ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઓક્ટોબર-2001થી ગુજરાતના વિકાસની વણથંભી યાત્રા શરુ થઈ તેને તા.7 ઓક્ટોબર, 2024ના 23 વર્ષ પૂર્ણ થયા છે.
ગુજરાતમાં સુશાસન અને વિકાસની 23 વર્ષની વણથંભી યાત્રાની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. ’વિકાસ સપ્તાહ’ના નેજા હેઠળ યોજાનારા કાર્યક્રમોના સુચારૂ આયોજન માટે જામનગર જિલ્લા કલેક્ટરશ્રી ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સેવા સદન ખાતે બેઠકનું આયોજન કરાયું હતુ.
જેમાં જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ કાર્યક્રમના આયોજન અને અમલીકરણ માટે જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા. તેમજ જામનગર જિલ્લામાં તમામ કાર્યક્રમો સુચારુ રીતે યોજાય અને વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે ઘટતું કરવા સૂચના આપી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરે ’વિકાસ સપ્તાહ’ની પ્રાથમિક રૂપરેખા આપી હતી અને વિવિધ કચેરીઓ દ્વારા યોજવાના થતાં કાર્યક્રમોની વિગતો જણાવી હતી.
જામનગર જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન જિલ્લામાં જનભાગીદારીથી અનેકવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણી, વિકાસ પ્રદર્શન, વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહર્ત, જનજાગૃત્તિના કાર્યક્રમો યોજાશે. શાળા-કોલેજમાં જિલ્લાના વિકાસની પ્રેરણાત્મક ગાથા રજૂ કરતા પ્રવચનો, ટોક શો, વિકાસ પદયાત્રા, ભીંતચિત્રો, ભારત વિકાસ શપથ, વિકાસ રથના ભ્રમણ સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને નાગરિકો જોડાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શારદા કાથડ, સર્વે પ્રાંત અધિકારી, જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.