Jamnagar,તા.20
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવના ગામમાં રહેતા એક ખેડૂતના માત્ર છ કલાક માટે બંધ રહેલા મકાનને ધોળે દહાડે તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા 1.32 લાખની માલમતાની ચોરી કરવી લઈ ગયાની ફરિયાદ જોડીયા પોલીસ મથકમાં નોંધાવાઇ છે. ખેડૂત દંપતિ માતાજીના દર્શને ગયા હતા, જે દરમિયાન પાછળથી હાથ ફેરો કર્યો હતો.
ચોરી ના આ બનાવની વિગત એવી છે કે જોડિયા તાલુકાના માવના ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દયાળજીભાઈ પેથાભાઇ રામપરિયા કે જેઓ ગત 15મી તારીખે સવારે 11.00 વાગે પોતાના પત્ની અનસોયાબેન સાથે મકાનને તાળું મારીને બાલંબા ગામે આવેલા પોતાના માતાજીના દર્શનાર્થે ગયા હતા, તેમજ ત્યારબાદ હનુમાનજીના મંદિર ગયા હતા, અને દર્શન કરીને સાંજે 5.00 વાગ્યે પરત ફર્યા હતા.
જે દરમિયાન તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું જણાયું હતું, અને મકાન ખુલ્લું હતું.
ત્યાં અંદર જઈને નિરીક્ષણ કરતાં મકાનની ઘરવખરી તથા કબાટ સહિતનો સામાન વેર વીખેર જણાયો હતો. ત્યારબાદ નિરીક્ષણ કરતાં તેઓએ રાખેલી રૂપિયા 8,100 ની રોકડ રકડ અને સોનાનું મંગળસૂત્ર, સોનાનો ચેઇન, સોનાની વીંટી, ચાંદીની ઝાંઝરી સહિત સોના ચાંદીના દાગીના વગેરે ચોરી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
તેથી તેમણે સુરતમાં રહેતા પોતાના પુત્રને જાણ કરી હતી. ત્યારબાદ ગઈકાલે તેઓએ જોડિયા પોલીસ મથકમાં પોતાના ઘરમાંથી એકલાખ બત્રિસ હજારની માલમતાની ચોરી થઈ ગયાની ફરિયાદ નોંધાવતાં જોડીયા પોલીસ બનાવવાના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.