Jetpur. તા.21
જેતપુરમાં બોલબોલ કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ વેપારી પર પાઈપથી હિંચકારો હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા વેપારીને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે જેતપુર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે જેતપુરમાં રિલાયન્સ પેટ્રોલ પંપની સામેની શેરી, કેનાલના પુલ પાસે રહેતાં હિરેનભાઇ ઉર્ફે ગટી રસીકભાઈ વઘાસીયા (ઉ.વ.38) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે કૌશિક બરવાડિયા, તુષાર કાંતિ આંબલિયા, ભાવિન કાંતિ આંબલિયા અને કાંતી આંબલિયા (રહે. તમામ જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ કલર અને કેમીકલનો વેપાર કરી પરીવારનું ગુજરાન ચલાવે છે.
ગઈ તા.18 ના રાત્રીના દશેક વાગ્યાના વખતે તેમના મિત્રો નિરવ સેંજલીયા તથા નિલેશભાઈ વોરા જે સુરતથી આવેલ હોય, જેથી તેમની સાથે અમરનગર રોડ ઉપર આવેલ શુકન કોમ્પ્લેક્ષની બાજુમાં આવેલ ચા ની દુકાને ચા પીતા હતા ત્યારે નિરવ સેંજલીયાનો મિત્ર કૌશીક બરવાડીયા તેમની પાસે ઘસી આવેલ અને ધંધાની વાત કરતા હતા ત્યારે કૌશીક વચ્ચે બોલચાલી કરતો હોય જેથી તેમને વચ્ચે બોલવાની ના પાડતા તે ઉશ્કેરાઈ જઈ ઝઘડો કરવા લાગેલ અને બાદમાં કૌશીક ફોનમાં વાત કરતો કરતો ત્યાંથી જતો રહ્યો હતો.
વિશેક મીનીટ બાદ તેઓ બાઈક લઈ જમવા જતો હતો અને મિત્રો કારમાં પાછળ આવતા હતા ત્યારે અમરનગર રોડ પર પહોંચેલ તો ત્યાં કૌશીક બરવાડીયા, તુષાર આંબલીયા, ભાવિન આંબલીયા અને તુષારના પિતા કાંતી આંબલીયા રસ્તામાં ઉભેલ હતાં અને તેઓએ તેમને આંતરી ગાળો આપવા લાગેલ અને ચારેય શખ્સો ઢીકા-પાટુનો મારમાર્યો હતો. દરમિયાન ભાવિન આંબલીયા લોખંડનો પાઇપ લઈ આવી માથાના પાછળના ભાગે મારી દિધેલ અને તેમના મિત્રો નિરવ સેંજલીયા તથા નિલેશ વોરા આવી ગયેલ જેથી આરોપીઓ નાસી છૂટ્યા હતાં.
બાદમાં યુવાનને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.