Junagadh તા.29
મુળ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના નવા નગડ ગામના રહીશ હાલ નાનડીયા ગામે રહેતા શ્રમજીવી શખ્સની છકડો રીક્ષા રોડ પરના ખાડામાં ખાબકતા રીક્ષા પલ્ટી મારી જતા સગીરનું મોત નોંધાતા પરિવાર ભાંગી પડયો હતો.
ઘટનામાં ફરીયાદી ગલુભાઈ બચલાભાઈ ભુરીયા (ઉ.55)એ માણાવદર પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં છકડો રીક્ષા નં. જીજે 08 વી 0042ના ચાલક મુકેશભાઈ બચલાભાઈ ભુરીયા પોતાના હવાલા વાળી છકડો રીક્ષા ચલાવતા હતા.
ત્યારે નાનડીયા બાંટવા રોડ પરના ખાડામાં છકડો રીક્ષાનું વીલ પડતા ચાલક મુકેશભાઈ બચલાભાઈએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી જવા પામી હતી. જેમાં ફરીયાદીના ભત્રીજા રાહુલ ટીનાભાઈ ભુરીયા (ઉ.15)ને માથામાં ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નોંધાયું હતું. જયારે અંદર બેઠેલા પરશુરામભાઈ પરમારના પગમાં ઈજા થવા પામી હતી. બનાવની તપાસ માણાવદર પીએસઆઈ ડી.આર. પારગીએ હાથ ધરી છે.
મોબાઈલ ચોર પકડાયો
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેષ જાજડીયા અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ મિલ્કત વિરોધી ગુનાઓના આરોપીને પાતાળમાંથી શોધી કાઢવા તાકીદ કરતા જુનાગઢ નાયબ પોલીસ અધિકારી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન નીચે એ ડીવીઝન પીઆઈ બી.બી. કોળીએ ગત તા.27ના મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાતા ગણતરીની કલાકોમાં પ્રદીપના ખાડીયામાં રહેતો કરણ ઉર્ફે પીન્કી બાબુ સોમાણી (ઉ.21)ને રૂા.23,999ના મોબાઈલ ફોન સાથે દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.