Junagadh ,તા.૨૨
મહાશિવરાત્રીના મેળાનો આજથી પ્રારંભ થયો છે. ભવનાથ મહાદેવ મંદિર પર ધ્વજારોહણ સાથે મેળાની શરૂઆત થઈ હતી, જેમાં અનેક સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ કરીને શિવરાત્રી મેળાની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. આગામી ચાર દિવસ સુધી ગિરનાર હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદથી ગુંજી ઉઠશે. પરંપરા મુજબ, ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થાય છે અને શિવરાત્રીએ મધ્યરાત્રીએ મૃગીકુંડમાં નાગા સન્યાસીઓના સાહિત્ય સાથે મેળાનું સમાપન થાય છે.
મેળામાં પ્લાસ્ટિક પ્રદૂષણ રોકવા માટે આ વર્ષે ખાસ પ્રયાસો થઈ રહ્યા છે. ગિરનાર અને આસપાસનો વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત બનાવવા જૂનાગઢ તંત્રએ પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનમાં જૂનાગઢના યુવા કલાકારો પણ જોડાયા છે અને તેમણે ભવનાથ તળેટી વિસ્તારની દિવાલો પર પ્લાસ્ટિક મુક્ત અભયારણ્ય અને મહાશિવરાત્રી મેળાના ઉદ્દેશ્ય સાથે પેઇન્ટિંગ્સ બનાવ્યા છે.
મેળા દરમિયાન ટ્રાફિક સુચારુ રહે તે માટે પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. આજે ૨૨મી તારીખથી શરૂ થતા મેળામાં ટ્રાફિક સંચાલન માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભવનાથ તળેટીમાં વાહન પ્રવેશ અને પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે. દર વર્ષે આશરે ૧૫ લાખ લોકો મેળામાં આવે છે અને તેમના વાહનોના કારણે ટ્રાફિક જામ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ અગાઉથી આયોજન કરીને વાહન પ્રવેશ, પાર્કિંગ અને નો પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે.
શિવરાત્રિની તૈયારીઓ અંગે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રિની ઉજવણીની તૈયારીઓ કરી છે. ભવનાથને જોડતા તમામ રસ્તાઓનું સમારકામ કરી દેવાયું છે. ભવનાથમાં લાખોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટવાની છે જેથી ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. શ્રદ્ધાળુઓને પણ અપીલ કરવામાં આવી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. દરેક ચેક પોસ્ટ પર પણ પ્લાસ્ટિકના ઉપયોગને લઈને ચેકિંગ કરવામાં આવશે. મેળામાં આવનારા ભક્તો માટે પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ભક્તોના આરોગ્યને ધ્યાનમાં રાખીને ૧૦ આરોગ્ય કેન્દ્ર અને ૧ આઈસીયુની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દામોદર કુંડમાં તરવૈયાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભવનાથના મેનેજર અતુલ દવેએ જણાવ્યું કે શિવરાત્રિએ મૃગીકુંડમાં નાગા સાધુઓનું સ્નાન રાત્રે બાર વાગે થશે. જેથી કુંડની સફાઈ શરૂ કરી દેવાઈ છે. મંદિરમાં ચાર પ્રહરની પૂજા થશે. અલગ અલગ અખાડાના નાગા સાધુઓ સ્નાન માટે આવશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે જેથી મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. સાધુ-સંતોની સાથે હવે વિદેશી પ્રવાસીઓ પણ શિવરાત્રીના મેળામાં હાલમાં આવી રહ્યા છે, અને ભજન, ભોજન, ભક્તિના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા, ભક્તિમાં લીન થવા વિદેશી ભક્તો પણ પુણ્યનું ભાથું બાંધશે.