કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે. એક પૌરાણિક કથા અનુસાર નરકાસુર નામના રાક્ષસે સોળ હજાર જેટલી કન્યાઓને કેદ કરી રાખી હતી. તેમને મુક્ત કરાવવા માટે ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામા સાથે મળીને નરકાસુરનો વધ આ દિવસે કર્યો હતો. જેને લઈને આ દિવસને નરક ચતુર્દશી કહે છે. આ કન્યાઓને સમાજમાં કોઈ સ્વીકારશે નહીં તેવી ચિંતા થવાથી ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની પત્ની સત્યભામાની મદદથી તમામ સાથે વિવાહ કર્યા હતાં. એટલે જ ભગવાન શ્રીકૃષ્ણની ૧૬,૧૦૮ પત્નીઓ ગણવામાં આવે છે.
નરકાસુર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તેણે ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું, ‘હે પ્રભુ ! મારી મૃત્યુતિથિએ જે સૂર્યોદય પહેલા સ્નાન કરે તેને નરકની પીડા ન થાય.’ તે વરદાન ભગવાને તેમને આપેલો તેથી આજના દિવસે સ્નાનનો અધિક મહિમા કહ્યો છે.એવું કહેવાય છે કે કાળી ચૌદસનાં દિવસે સૂર્યોદય પહેલાં પ્રત્યુષ કાળ, બ્રાહ્મમુહૂર્તે માં સ્નાન કરો તો યમલોકના દર્શન કરવા પડતા નથી.
બંગાળમાં મા કાલીના જન્મદિવસ તરીકે પણ તેને ઉજવવામાં આવે છે, જેના કારણે આ દિવસને કાળી ચૌદસ કહેવામાં આવે છે. બંગાળમાં આ દિવસે માતા કાલીની પૂજાનું વિશેષ મહત્વ છે. મા કાલી દુષ્ટ આત્માઓ, નકારાત્મક શક્તિ અને રાક્ષસોનો નાશ કરનાર દેવી તરીકે ઓળખાય છે. માનવામાં આવે છે કે જે ભક્તો આ દિવસે મા કાલીની પૂજા કરે છે, તેમને બધી જ નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ આત્માઓથી મુક્તિ મળે છે. કાળી ચૌદસનો દિવસ તાંત્રિકો માટે સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. જે લોકો સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માંગે છે, તેઓ આ શુભ દિવસે મા કાલીની પૂજા કરે છે અને દેવીને પ્રસન્ન કરવા માટે ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. મેલી વિદ્યાનાં સાધકોનો પ્રિય દિવસ છે, અને તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે.
વાલ્મીકિ રામાયણ અનુસાર, એવું કહેવાય છે કે આ દિવસે મધ્યરાત્રિએ માતા અંજનીના ગર્ભમાંથી હનુમાનજીનો જન્મ થયો હતો. તેથી દરેક પ્રકારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે નરક ચતુર્દશીના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં ‘આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનજીની પૂજા કરવી.’ એવી આજ્ઞા કરેલી છે. આ દિવસે હનુમાનજીની પૂજા કરી પ્રાર્થના કરવામાં આવે છે કે, ‘આપના જેવી દાસત્વ ભક્તિ અમારામાં પ્રગટે અને ભગવાનને મળવા માટેના તમામ અશુભો અને અંતરાયો દૂર થાય.’ આજના દિવસે ગૃહિણીઓ ચાર રસ્તે, ગલીના નાકે વડા મૂકીને કકળાટ દૂર કરવાની વિધિ કરે છે. જેની પાછળ એવું કહેવાય છે કે, પરિવારમાં જે કંકાસ કે કલેહ વ્યાપી ગયો હોય તે દૂર થાય અને કુટુંબમાં શાંતિ થાય.
ડૉ . નિમિષ મુંગરા