Bhuj,તા.16
કચ્છના કંડલામાં એક ખાનગી એગ્રોટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની ટેન્કની સફાઈ વખતે દુર્ઘટના સર્જાતા ટેન્કમાં ઉતરેલા પાંચ વ્યકિતઓના ગેસની ગુંગળામણથી મોત થતા હાહાકાર મચી ગયો છે.
કચ્છમાં કંડલા ખાતે આવેલી સૌંદર્ય પ્રસાધનની ઈમામી એગ્રોટેક કંપનીમાં ટાંકીની સફાઈ કરતી વખતે શ્ર્વાસ રૂંધાવાથી એક મુકાદમ સહિત પાંચ વ્યકિતનું મોત થયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.
ઓઇલ ટેન્કની સફાઈ કરતી વેળાએ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. બુધવારે વહેલી સવારે બનેલા આ બનવા અંગે પોલીસ ઉપરાંત ફેક્ટરી ઇન્સ્પેકટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે, બુધવારે સવારે લગભગ 1 વાગ્યે એક એગ્રોટેક પેઢીમાં આ ઘટના બની હતી.તેમણે કહ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે કામદારો કંપનીના એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સફાઈમાં રોકાયેલા હતા.
એસપી બાગમારે વધુમાં ઉમેર્યું કે, “જ્યારે એક કર્મચારી ટેન્કમાં રહેલા કાદવને દૂર કરવા માટે ટાંકીમાં પ્રવેશ્યો, ત્યારે તે બેભાન થઈ ગયો. જ્યારે અન્ય બે કામદારો તેને બચાવવા માટે ટાંકીની અંદર દોડી ગયા, ત્યારે તેઓ પણ બેભાન થઈ ગયા. બે અન્ય લોકો તેનું અનુસરણ કર્યું, અને પછી તમામ પાંચ વ્યક્તિ મૃત્યુ પામ્યા હતા.
તેઓ ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા પરંતુ ત્યાં હાજર અન્ય કામદારો તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં પાંચેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા એમ અંતમાં તેમણે જણાવ્યું હતું.
કંડલા પોલીસ સ્ટેશનમાં આ દુર્ઘટના અંગે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ કંડલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ખાદ્ય તેલ અને બાયોડીઝલના ઉત્પાદન સાથે સંકળાયેલી ફર્મ ઈમામી એગ્રોટેકમાં આ અકસ્માત થયો હતો.
જેમાં સિદ્ધાર્થ તિવારી, અજમત ખાન, આશિષ ગુપ્તા, આશિષ કુમાર અને સંજય ઠાકુરનું ટેન્ક સફાઈ સમયે ટેન્કમાં ગેસની ગુંગળામણથી મોત થયા છે. તેમના પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો છે.
ખાનગી કંપનીમાં કેમિકલ ટેન્કની સફાઈ માટે સફાઈ કામદારોને તેની અંદર ઉતારવામાં આવ્યા હતા ત્યારે સુરક્ષાને લઈને કોઈ સાધન-સામગ્રી ઉપલબ્ધ ન હતી જે કારણે સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઉઠી રહ્યા છે.