Bihar, તા.4
બિહારના ભાગલપુરમાં રવિવારે ગઇકાલે રાત્રે શાહકુંડ અને સુલતાનગંજ વચ્ચે મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓની પીકઅપ વાન નદીમાં ખાબકી હતી. જેમાં પાંચ યાત્રાળુઓના મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણ યાત્રાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં શાહકુંડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
અહેવાલો અનુસાર, ભાગલપુરમાં મહતો થાન નજીક રવિવારે રાત્રે લગભગ 12:15 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પાંચ યાત્રાળુઓના મૃત્યુ નીપજ્યાં થયા હતા અને ત્રણની હાલત ગંભીર છે.
કાવડયાત્રીઓ જણાવ્યાનુસાર, પીકઅપ વાનમાં એક ડીજે સેટ હતો. સુલતાનગંજમાં સ્નાન કર્યા પછી બધા જ્યેષ્ઠ ગૌરનાથને જળાભિષેક કરવા જઈ રહ્યા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ પીકઅપ વાન નદીમાં ખાબકી હતી.
મૃતકોમાં સંતોષ કુમાર, મનોજ કુમાર, વિક્રમ કુમાર, રવિશ કુમાર અને અંકુશ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાહન ચાલકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. વાહન ચાલક વાહનમાં ફસાઈ ગયો હોવાની શંકા છે. સ્થાનિક લોકો અને પોલીસે તમામ મૃતકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.