New Delhi,તા.10
ભારતીય ટીમ 20મી જૂનથી ઈંગ્લેન્ડમાં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ રમવાની તૈયારી કરી રહી છે. પરંતુ આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. બંનેએ સીરિઝ પહેલા જ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ દરમિયાન હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની સરખામણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોને અપીલ કરી છે કે ટેસ્ટ ક્રિકેટના સંદર્ભમાં બંને દિગ્ગજોને સરખાવવાનું બંધ કરો, કારણ કે તેમના અનુસાર, વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્મા કરતા ઘણાં આગળ છે.
બંને દિગ્ગજ ખેલાડીની નિવૃત્તિથી ભારતીય ટીમમાં ખાલીપણું અનુભવાઈ છે અને હવે ટીમ યુવા ખેલાડીઓ પર નિર્ભર છે. આ દરમિયાન ચાહકો અને કોમેન્ટેટર્સ ઘણીવાર બંને દિગ્ગજોને એક સાથે સરખાવે છે. પરંતુ આ મામલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા એક વીડિયોમાં સંજય માંજરેકર કહે છે કે,’ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે એક નિવેદન આપ્યું હતું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેમને દબાણનો અનુભવ થશે. અમે તેમનું નામ રોકો (ROKO) પણ રાખ્યું છે. હું સમજી શકું છું કે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં તેમની સરખામણી કરવામાં આવે છે, ત્યાં તેઓ કંઈક અંશે તુલનાત્મક છે. પરંતુ જ્યારે ટેસ્ટ ક્રિકેટની વાત આવે છે, ત્યારે બંને વચ્ચે કોઈ સરખામણી નથી.’59 વર્ષીય સંજય માંજરેકરે આંકડા રજૂ કરતા કહ્યું કે,’જ્યારે SENA (દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોની વાત આવે છે, જે કોઈપણ બેટરની વાસ્તવિક કસોટી છે, ત્યારે વિરાટ કોહલીના નામે 12 સદી છે. રોહિત શર્માના નામે ફક્ત 1 સદી છે, જે તેણે 2021માં ઓવલમાં ઈંગ્લેન્ડ સામે ફટકારી હતી. તેમણે 100થી વધુ ઇનિંગ્સ રમી છે પરંતુ SENA દેશોમાં તેની પાસે ફક્ત એક જ સદી છે. તેની સરેરાશ પણ 40 છે.’હિટમેન રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ ભારતની ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ ટેસ્ટ મેચની સીરિઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. રોહિત શર્માએ તેની કારકિર્દીમાં 67 મેચોમાં 4301 રન બનાવ્યા, જેમાં તેની સરેરાશ 40થી વધુ હતી. જ્યારે વિરાટ કોહલીએ 123 ટેસ્ટમાં 46.85ની સરેરાશ સાથે 9230 રન બનાવ્યા અને 30 સદી ફટકારી. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 12 સદી ફટકારી છે.