Ahmedabad,,તા.15
અમદાવાદ મણિનગર વિસ્તારમાં એક મહિલા દ્વારા હેવમોર કંપનીના કોન આઇસ્ક્રીમમાંથી ગરોળીની પૂંછડી નીકળ્યાની ઘટના સામે આવતા ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરને સીલ કરી દેવાયું છે અને હેવમોરના નરોડા GIDC મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તપાસ હાથ ધરાઈ છે.
અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ પાર્લરમાંથી ખરીદેલા હેવમોર કંપનીનો આઈસ્ક્રીમ (કોન)માંથી ગરોળીની પૂંછડી નીકળી હોવા અંગેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને મળી હતી.
આ ફરિયાદના આધારે મણીનગર મહાલક્ષ્મી કોર્નર નામના પાર્લરમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પાર્લર પાસે ફૂડ સેફ્ટી લાયસન્સ ન હોવાથી તેને સીલ કરવામાં આવ્યું હતું. ફૂડની ટીમ દ્વારા નરોડા GIDC ખાતે હેવમોર કંપનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે તપાસ કરવામાં આવી હતી. જે આઇસ્ક્રીમ કોનમાંથી ગરોળી નીકળી હતી તેનો માલ બજારમાંથી પરત લેવા માટેની સૂચના આપવામાં આવી છે.
બીજી તરફ નરોડા GIDC ખાતે હેવમોર કંપનીનંર મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલું છે. જેથી, ફૂડ વિભાગની ટીમ દ્વારા મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે લો ફેટ આઈસ્ક્રીમનું ઉત્પાદન ત્યાં કરવામાં આવતું હતું.
જે બેચ નંબરના આઈસ્ક્રીમ કોનમાંથી ગરોળીની પૂંછડી નીકળી હોવાની ફરિયાદ મળી હતી. તેના બેચ નંબરના તમામ આઈસ્ક્રીમનો માલ બજારમાં રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને વેચવામાં આવ્યો હોય તેને તાત્કાલિક ધોરણે પરત લેવા માટેની નોટિસ આપી રૂ. 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ટીમ દ્વારા તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે.