હિન્દુ દેવી દેવતાઓમાં ભગવાન ગણેશનું વિશેષ સ્થાન છે. કોઈપણ શુભ કાર્ય કરતાં પહેલા વિધ્નહર્તાનું નામ લેવામાં આવે છે. ભગવાન ગણેશનું નામ લેવાથી દરેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તેમજ ગણેશજીને ઘણાં નામોથી ઓળખવામાં આવે છે. જો તમારા ઘરે પણ પુત્રનો જન્મ થયો હોય તો તમે પણ તમારા પુત્રને ગણેશજીનું કોઈ નામ આપી શકો છો. અહીં ભગવાન ગણેશના ઘણા નામોની યાદી તેના અર્થ સાથે આપેલી છે.
ભગવાન ગણેશ દ્વારા પ્રેરિત નામ
અચ્યુત: આ નામનો અર્થ થાય છે જેને કોઈ નષ્ટ ન કરી શકે તેવું. ગણેશજી તેમજ ભગવાન વિષ્ણુને પણ આ નામથી ઓળખવામાં આવે છે.
અદ્વૈત: જે અનન્ય અને અદ્વિતીય છે તેને અદ્વૈત કહે છે. ગણેશને તમામ દેવોમાં સૌથી અલગ માનવામાં આવે છે, તેથી તેમને અદ્વૈત પણ કહેવામાં આવે છે.
અમેય: તેનો અર્થ થાય જેની કોઈ સીમા નથી.
ગૌરિક: આ નામ શક્તિનું પ્રતિક છે. ગૌરિક એટલે ગૌરી પુત્ર.
અનવ: જે માનવતાથી ભરપૂર હોય તેને અનવ કહેવાય. અનવ નામનો અર્થ માયાળુ હૃદય પણ થાય છે.
અન્મયઃ જે પ્રતિકૂળ સંજોગોમાં પણ નબળા ન પડે અને માનસિક રીતે મજબૂત હોય તેને અન્મય કહેવાય.
આશ્રિતઃ આશ્રય અને રક્ષણ આપનારને આશ્રિત કહેવાય છે. ભગવાન ગણેશને આ નામથી પણ ઓળખવામાં આવે છે.
અથર્વઃ આ હિંદુ નામનો અર્થ જ્ઞાનના દેવતા થાય છે. જે વ્યક્તિ પાસે ઘણું જ્ઞાન હોય તેને અથર્વ કહેવાય છે. તેમજ અથર્વવેદ પણ ચાર વેદોમાંનો એક છે.
અવનીશ: આ નામનો અર્થ ભગવાન અને પૃથ્વીનો રાજા થાય છે. જેનું પૃથ્વી પર આધિપત્ય છે તે અવનીશ કહેવાય છે.
ઓજસ: આ નામનો અર્થ પ્રકાશ થાય છે.
શુભમ: શુભમ એટલે જીવનમાં શાંતિ લાવનાર તેમજ બધું સારું અને શુભ કરનાર.
તક્ષ: આ નામ શક્તિનું પ્રતિક છે. જેનો મતલબ મજબૂત થાય છે.
રિદ્ધેશઃ શાંતિના દેવતા રિદ્ધેશ કહેવાય છે. તમે તમારા પુત્રને ભગવાન ગણેશનું આ સુંદર નામ આપી શકો છો.