જગતગુરૂ ભગવાન શ્રી કૃષ્ણનું મન-મોહક સ્વરૂપ ભક્તોને આકર્ષે છે પરંતુ શ્રી કૃષ્ણના મુકુટ પર રહેલું આકર્ષક મોરપીંછ ભગવાનનાં અદ્દભૂત સ્વરૂપની યશ કલગીમાં ઉમેરો કરે છે, લોકસાહિત્યમાં આ અંગેની એક કથા છે તે મુજબ શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી, વનવાસ ભોગવવા જતાં હોય છે ત્યારે સીતાજીને રસ્તામાં તરસ લાગે છે. પાણી વિના વૈદેહી આકુળ વ્યાકુળ થઈ જાય છે. શ્રીરામ-લક્ષ્મણ પણ વિહવળ બની જાય છે. આ જ સમયે વનમાં રહેલી એક ઢેલ જે દાણા ચણતી હોય છે તે મોરને કહે છે, ”સીતાજીની તૃષાને તું છીપાવીશ તો તારૂ જીવન સાર્થક થશે.” એવું કહેવાય છે કે જ્યાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ હોય ત્યાં મોર અવશ્ય દેખાય છે, મોર દુરથી જ પાણીની હાજરીને કળી લે છે.
ઢેલની વાત માનીને મોરે શ્રીરામ-લક્ષ્મણ તથા સીતાજીને ઈશારાથી જણાવ્યું કે તમે મારી પાછળ ચાલ્યા આવો. મોરની ચાલ ઝડપી હતી. એટલે થાકેલાં ત્રણેયને રસ્તો બતાવવા મોર પોતાનાં અંગ પરથી એક એક પીછું સરકાવતો ગયો. આ પીછાંઓને નજરમાં રાખીને ત્રણેય આગળ વધતાં ગયા.
મોર પાણીનાં અસ્તિત્વ એટલે કે જળાશય નજીક પહોંચ્યો ત્યાં સુધીમાં તો તેનાં બધાંય પીછાં ખરી પડયાં હતા. ત્રણેયે જળાશયમાંથી શુદ્ધ પાણી પીધું અને તૃષા છીપાવી. આ સમયે મોર અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો. પીછાં વગરના મોરની દશા જોઈ પ્રભુ શ્રી રામ પરિસ્થિતી પામી ગયા. તેમણે મનમાં વિચાર્યું કે મોરનો બદલો શી રીતે વાળવો ? શ્રી રામે મોરને કહ્યું, ”મોર, તારા ઉપકારનો બદલો હું આ જન્મમાં નહીં પણ આવતા જન્મમાં શ્રી કૃષ્ણ અવતારમાં ચોક્કસ વાળીશ. આ પછી જ્યારે શ્રી કૃષ્ણ અવતાર થયો ત્યારે શ્રી કૃષ્ણે તેમના માથાં પરના મુકુટમાં મોરપીંછને કાયમી સ્થાન આપ્યું. આમ શ્રી કૃષ્ણે આગલા જન્મના ઉપકાર મોર ઉપર વાળ્યો. આ રીતે શ્રી કૃષ્ણના મુકુટમાં સદા માટે મોરપીંછ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.”