Ahmedabad, તા.12
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું એક વિમાન ટેકઓફ કરતી વખતે જ ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને પગલે એરપોર્ટ અને સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઈટ બપોરે 1:38 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કરી હતી. ટેકઓફના માત્ર બે જ મિનિટના ટૂંકા ગાળામાં, આંખના પલકારામાં, વિમાનનો પાછળનો ભાગ એક વૃક્ષ સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ વિમાન પરનો નિયંત્રણ ગુમાવતા તે નજીકની એક બિલ્ડિંગ સાથે અથડાઈને ક્રેશ થયું હતું.હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. આ ઘટનાના પગલે એરપોર્ટ પર ઉડાન વ્યવસ્થા પર અસર પડી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.