Veraval, તા. 25
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું સમાપન કરાવતા રાજ્યમાં ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી વહીવટી સુધારણા અને જનહિતકારી યોજનાઓના અમલમાં વધુ ગતિ તથા પારદર્શિતા લાવવા તથા સેચ્યુરેશન એપ્રોચ સાકાર કરવા એઆઇ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીના હસ્તે ચિંતન શિબિરના કાયમી લોગોનું ડિજિટલ અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલી 11મી ચિંતન શિબિરના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલોજીના ઉપયોગથી લોકકલ્યાણલક્ષી યોજનાઓના વ્યાપ વિસ્તારથી 100 ટકા લાભાર્થી આવરી લઈ સેચ્યુરેશનના અભિગમ અપનાવવા કરેલા આહવાનને ગુજરાત એઆઇના ઉપયોગથી સર્વગ્રાહી રીતે સાકાર કરવા પ્રતિબદ્ધ છે.
તેમણે ચિંતન શિબિરના સમાપન સત્રમાં વરિષ્ઠ સચિવો, જિલ્લા કલેકટરો, વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, કુપોષણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી તથા જન ફરિયાદ નિવારણના ક્ષેત્રમાં એઆઇનો ઉપયોગ સઘન બનાવવો છે. આ હેતુસર ઉચ્ચસ્તરીય ટાસ્ક ફોર્સ રચવામાં આવશે અને તેની ભલામણનો અહેવાલ એક મહિનામાં ટાસ્કફોર્સ આપે તેના આધાર પર એઆઇ અને ડેટા એનાલિસિસથી સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટની રાજ્ય સરકારની નેમ છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ એક બનીને ટીમ તરીકે કામ કરીને ગુજરાતના વિકાસને આગળ ધપાવી રહ્યાં છે. સરકારી તંત્રએ એવી અસરકારક ભૂમિકા નિભાવવી જોઈએ કે, ખોટું કરનારાના મનમાં તંત્રની બીક રહે. તેમણે એમ પણ ઉમેર્યું કે, બોનાફાઈડ ઈન્ટેન્શનથી થયેલી ભૂલો ચલાવી શકાય પરંતુ માલાફાઈડ ઈન્ટેન્શનને કોઈ કાળે ચલાવી લેવાશે નહીં.
મુખ્યમંત્રીએ કર્મયોગના છ સિદ્ધાંતોને જીવનમાં ઉતારીને કર્મચારીમાંથી કર્મયોગી બનીને કામ કરવાની પ્રેરણા આપતા કહ્યું કે, આ સિદ્ધાંતો એકબીજા સાથે પરસ્પર એવા જોડાયેલા છે કે, કોઈ એક સિદ્ધાંતને જો વ્યક્તિગત જીવનમાં ઉતારીએ તો તેની અસર સમગ્રતયાં વ્યક્તિત્વ અને કતૃત્વ પર પ્રભાવશાળી રીતે પડે જ.
ભૂપેન્દ્ર પટેલે કોઈપણ પ્રકારની નકારાત્મકતા સામે સકારાત્મક અભિગમ અપનાવવાની પ્રેરણા આપતા કહ્યું કે, સરકાર ખૂબ મહત્વપૂર્ણ ઉપયોગી પ્રજાલક્ષી કામગીરી કરતી જ હોય છે ત્યારે તેની જાણકારી લોકોને સમયસર મળતી રહે અને સોશિયલ મીડિયાના સમયમાં કોઈપણ માહિતી ઝડપથી ફેલાય છે ત્યારે, ખોટી વાતોની સામે સકારાત્મક અને સાચી વાતો લોકો સુધી ત્વરાથી પહોંચે તેવું દાયિત્વ આપણે સૌએ નિભાવવાનું છે.
સમાજમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે ત્યારે, કોઈપણ ઘટના બની ગયા પછી તેને તાત્કાલિક સુધારવા અને ભવિષ્યમાં એવી કોઈ ભૂલ ના થાય એ માટેનો અભિગમ કેળવીને કામ કરવા મુખ્યમંત્રીએ પ્રેરણા આપી હતી.
તેમણે આ સંદર્ભમાં ઉમેર્યું કે, દરેક જિલ્લા કલેક્ટરો, વિકાસ અધિકારીઓ પોતાના જિલ્લામાં આ ભલામણોમાંથી ત્રણ પ્રોજેક્ટ નક્કી કરીને તેના પર ઝડપથી કાર્યવાહી કરે અને સમયાંતરે તેની પ્રગતિની સમિક્ષા પણ કરતા રહે. વિકાસલક્ષી કોઈપણ કામગીરીમાં પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ આગળ વધવા મુખ્યમંત્રીએ ખાસ આગ્રહ રાખ્યો હતો.
રોજિંદી વહીવટી કામગીરીમાં કે વિવિધ પ્રક્રિયાઓમાં ક્યાંક અર્થઘટનના પ્રશ્નો કે કોઈ સમજ ફેરના પ્રશ્નો થતા હોય ત્યારે તેનું સામૂહિક ચિંતન કરીને, આવા પ્રશ્નો ઉકેલવાની દિશામાં ચિંતન શિબિરો દિશાદર્શક બની છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ તકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ચિંતન શિબિરના સફળ આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન આપ્યા હતા. તેમજ ચિંતન શિબિરના માઘ્યમથી પ્રાપ્ત થયેલ નૂતન વિચારોને કાર્ય સિદ્ધિ સુધી પહોંચાડવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
શ્રેષ્ઠ અધિકારીઓના પુરસ્કારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબિરના આખરી દિવસે વર્ષ:2019થી 2024 દરમિયાન ઉત્કૃષ્ટ પ્રશાસનિક સેવાઓ બજાવનાર 20 જેટલા સનદી અધિકારીઓનું કર્મયોગી પુરસ્કારથી સન્માન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત 15 લાખથી વધુ વસ્તી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર ધરાવતા જિલ્લા અને 15 લાખ સુધીની વસ્તી ધરાવતા જિલ્લા એમ કુલ બે કેટેગરી માટે પુરસ્કાર આપવામાં આવે છે.