New Delhi,તા.18
સરકાર વિજય માલ્યા અને નીરવ મોદી જેવાં ઉદ્યોગપતિઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે જેઓ બેંકો પાસેથી લોન લઈને દેશ છોડીને ભાગી ગયાં છે. અત્યાર સુધી સરકારે ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની મિલકતો વેચીને હજારો કરોડ રૂપિયાની વસૂલાત કરી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બેંકોએ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવાં ભાગેડુ ઉદ્યોગપતિઓની મિલકતો વેચીને 22280 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ બેંકોને રૂ. 22280 કરોડની સંપત્તિ પરત કરી છે. નિર્મલા સીતારમને વર્ષ 2024-25 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓની પ્રથમ બેચ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતાં જણાવ્યું હતું કે ભાગેડુ વિજય માલ્યાની 14131.6 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે.
નીરવ મોદી કેસમાં 1052.58 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકો અને ખાનગી બેંકોને પરત કરવામાં આવી છે તથા મેહુલ ચોક્સી કેસમાં રૂ.2565.90 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને તેની હરાજી કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ કેસમાં 17.47 કરોડની સંપત્તિ વાસ્તવિક રોકાણકારોને પરત કરવામાં આવી હતી જેઓ છેતરપિંડીનો ભોગ બન્યાં હતાં.