Manavadar, તા. 20
સૌરાષ્ટ્ર ભૂમિમાં આવેલા અગત્યના પાંચ તીર્થધામોમાંનું એક તીર્થધામ શાસ્ત્રોમાં વર્ણાવાયું છે. એવા માણાવદરના આંગણામાં શ્રીહરિ એવા ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજ અઢારવાર પધારી વિવિધ લીલાઓ કરી ગયા છે.
શ્રી હરિએ હરિભકતો સાથે હાથમાં દાતરડા લઇને મૈયારામ ભટ્ટના ખેતરનો બાજરો વાઢયો હતો જે વાડી આજે પણ ભટ્ટવાડી તરીકે ઓળખાય છે. શ્રી હરિએ અહીં પ્રથમ ધર્મસભા કરી હતી અને હરિભકતોને મહાઆધ્યાત્મિક જ્ઞાન આપ્યું હતું. શ્રી હરિએ વિચરણ સમયે ગોંડલ અને માણાવદર વગેરે સ્થળોએ શાક મહોત્સવ કરેલ એવા માણાવદરમાં તા. ર9ને રવિવારે મંદિરના કોઠારી સ્વામી શ્રી મોહનપ્રકાશદાસના વડપણ હેઠળ એક ભવ્ય શાકોત્સવ તથા સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગાંધી ચોકના મંદિર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં 42 ગામોમાંથી હજારો હરિભકતો તથા સંતો ઉમટી પડશે જેમાં કુતિયાણા તાલુકો, રાજકોટ તાલુકો, માણાવદર તાલુકો, વંથલી તાલુકો, કેશોદ તાલુકો, મેંદરડા તાલુકો, જુનાગઢ તાલુકો, અમરેલી તાલુકો વગેરેમાંથી હરિભકતો પધારશે. સત્સંગ સભામાં જુનાગઢના સ્વામી શ્રી માધવજીવનદાસ ઉદબોધન દ્વારા ધર્મલાભ આપશે. હજારો લોકોને પ્રસાદરૂપે હરિભોજનની વ્યવસ્થા કરાઇ છે તો આ શાકોત્સવનો લાભ લેવા સમસ્ત સત્સંગ સમાજ તથા ટ્રસ્ટી મંડળ વતી મોહનપ્રકાશદાસ સ્વામીએ અનુરોધ કર્યો છે.