Manavadar,તા.11
આજરોજ માણાવદરની કન્યા શાળાના ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ માણાવદર ખાતે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અનસુયા ગૌધામની મુલાકાત લીધી હતી. માણાવદર ખાતે અગાઉ નવા પ્રેસ તરીકે ઓળખાતી જીનીંગ ફેક્ટરીના પાયા ચંદુભાઈ શેઠે નાખેલા અને વર્ષો પહેલા આ ફેક્ટરી ધમધમતી ત્યારબાદ ફેક્ટરી બંધ થતા આ ચંદુભાઈ શેઠના પુત્રો હિતેનભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, હરેશભાઈ શેઠ દ્વારા ગીર ગાયોના સંવર્ધન માટે અનસુયા ગૌધામ બનાવવામાં આવ્યું છે.
આ ગૌધમમાં હાલ ૨૫૦ જેટલી ગીર ગાયોનું સંવર્ધન ૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગીરગાય મનુષ્યને દરેક રીતે ઉપયોગી છે તેમાંથી મળતા દૂધ, ઘી, છાશ અને મળમૂત્ર પણ ખૂબ ઉપયોગી છે. ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગૌશાળાના ડોક્ટરો, શિક્ષકો સંજયભાઈ ત્રિવેદી, રાકેશભાઈ ભૂત, મિતલબેન ચપલા તેમજ સંચાલકશ્રી હરેશભાઈ શેઠ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં ગીર નસલની ગાયોની લાક્ષણિકતા તેમના ફાયદા પ્લાસ્ટિકથી થતું નુકસાન અને પશુધન વિષયો મુખ્ય હતા.
બાળકોએ સમગ્ર ગૌશાળાની મુલાકાત લઇ અત્રેની ગાયો, બુલ, કબૂતરો, જાફરાબાદી ભેંસો અને કાઠીયાવાડી ઘોડા નિહાળ્યા હતા. અનસુયા ગૌધામના સંચાલક હરેશભાઈ શેઠ દ્વારા બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ માણાવદર કન્યાશાળા વિદ્યાર્થીઓને અનસુયા ગૌધામની એક્સપોઝર વિઝીટ દ્વારા ઘણી બધી બાબતો જાણવા મળી હતી. આ તકે અનસુયા ગૌધામ વાળા હરેશભાઈ શેઠનું શિક્ષકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.