Gandhinagar,તા.૨૨
પ્રોપર્ટી ખરીદવા કે વેચવા માટે મિલકતનો દસ્તાવેજ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. ત્યારે મિલકતના દસ્તાવેજ નોંધણી માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ખુલ્લા પ્ટોલના દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંસની નોંધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહિ થાય.
ખુલ્લા પ્લોટના દસ્તાવેજ માં ફરજિયાત અક્ષાંશ અને રેખાંશ દર્શાવવા પડશે. રાજ્ય સરકારના ધ્યાનમાં આવ્યું છે કે દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે. આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવી ખુલ્લો પ્લોટના ફોટોગ્રાફ્સ મૂકી દેવામાં આવે છે. આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન જાય છે. આથી દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સવાળા પાના ઉપર જો ખુલ્લો પ્લોટ બતાવ્યો હોય તો ફરજિયાત અક્ષાંશ અને રેખાંશની નોંધ કરવી પડશે. જો આ પ્રકારની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજની નોંધણી ન કરવાનો પણ આદેશ કરાયો છે.
સરકારે દસ્તાવેજના નવા નિયમ અંગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું કે, રાજ્યની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજોમાં મિલકતનો ફોટો દસ્તાવેજના ભાગ તરીકે રાખવામાં આવે છે. અમુક કિસ્સાઓમાં સ્થળ ઉપર બાંધકામ હોવા છતા પણ ખુલ્લી જમીનના ફોટાઓ દસ્તાવેજમાં મિલકતના ભાગ તરીકે સામેલ કરવામાં આવે છે. જેનાથી સરકારશ્રીને સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં ખુબ જ નુકશાન જાય છે. તેમજ છેતરપીંડીની ઘટનાઓ પણ બને છે. તાજેતરમાં આવા છેતરપીંડીના બનાવોનું પ્રમાણ વધવા પામેલ છે. વંચાણમાં લીધેલ પરિપત્ર-(૧) અને (૨) મુજબ દસ્તાવેજોમાં મિલકતના એક સાઈડેથી તથા સામેની બાજુથી લીધેલ ૫” * ૭” સાઇઝના કલર ફોટોગ્રાફને મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત પૃષ્ઠ ઉપર ચોંટાડી, ફોટાની નીચે મિલકતનુ પોસ્ટલ સરનામુ લખી દસ્તાવેજ લખી આપનાર અને લખી લેનાર પક્ષકારોઓ પોતાની સહી કરી દસ્તાવેજના ભાગ તરીકે લગાવવાના રહેશે તેવી સૂચનાઓ આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત ખુલ્લા પ્લોટવાળી મિલકતની તબદીલી અંગેના દસ્તાવેજ રજુ થાય ત્યારે દસ્તાવેજના ભાગ તરીકે જે મિલકતની તબદીલી થાય છે, તે ખુલ્લા પ્લોટવાળી મિલકતના ફોટામાં/ફોટો વાળા પાના પર મિલકતના અક્ષાંશ અને રેખાંશ ફરજિયાત દર્શાવવાના રહેશે. જો ફોટામાં/ફોટો વાળા પાના પર ખુલ્લા પ્લોટવાળી મિલકતના અક્ષાંશ અને રેખાંશ દર્શાવવામાં આવેલ ના હોય તે દસ્તાવેજ નોંધાણી અર્થે સ્વિકારવાનો રહેશે નહિ.