New Delhi,તા.24
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થૂળતા સામે મોટું અભિયાન શરૂ કર્યું છે. તેમણે રવિવારે એટલે કે 23 ફેબ્રુઆરીના રોજ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં લોકોને ભોજનમાં ઓછા તેલનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી. તેમજ આ સાથે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, બિઝનેસમેન આનંદ મહિન્દ્રા, પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલ અને અભિનેતા મોહનલાલ સહિત વિવિધ ક્ષેત્રની 10 હસ્તીને આ અભિયાનમાં સ્થૂળતા વિરુદ્ધની લડાઈમાં નોમિનેટ કર્યા હતા.
પીએમ મોદીએ રવિવારે તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં સ્થૂળતાને નિયંત્રિત કરવા અને સ્વાસ્થ્ય સુધારવા માટેના આ અભિયાનની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું, ‘હું આ લોકોને સ્થૂળતા સામેની અમારી લડાઈને મજબૂત કરવા અને ભોજનમાં તેલનો 10% વપરાશ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવા માટે નોમિનેટ કરું છું.’
આ અંગે પીએમ મોદીએ વધુમાં લખ્યું કે, ‘હું તેમને આગ્રહ કરું છું કે તેઓ પણ વધુ 10 લોકોને નોમિનેટ કરે જેથી આ આંદોલન વધુ મોટું થઈ શકે.’
પીએમ મોદી ભોજપુરી સિંગર અને અભિનેતા નિરહુઆ, શૂટિંગ ચેમ્પિયન મનુ ભાકર, વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ, ઈન્ફોસીસના કો-ફાઉન્ડર નંદન નિલેકણી, ભારતીય એક્ટર અને ફિલ્મ નિર્માતા મોહનલાલ, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, એક્ટર આર. માધવન, સિંગર શ્રેયા ઘોષાલ અને સાંસદ સુધા મૂર્તિને નોમિનેટ કરવામાં આવ્યા છે.
સ્થૂળતા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું, ‘આજે દર 8માંથી એક વ્યક્તિ સ્થૂળતાની સમસ્યાથી પીડિત છે અને બાળકોમાં આ સમસ્યા ચાર ગણી વધી ગઈ છે. WHOના ડેટાને ટાંકીને તેમણે કહ્યું કે, વર્ષ 2022માં વિશ્વભરમાં 250 કરોડ લોકો સ્થૂળતાની સમસ્યાથી પીડિત હતા, જે એક ગંભીર વિષય છે.’
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ X પર પોસ્ટ કરી કે, ‘પીએમ મોદી દ્વારા સ્થૂળતા વિરુદ્ધ શરૂ કરાયેલા અભિયાનમાં જોડાઈને હું ખૂબ જ ખુશ છું.’ આ અભિયાનને આગળ વધારવા માટે ઓમર અબ્દુલ્લાએ 10 લોકોને નોમિનેટ પણ કર્યા છે