Jetpur, તા.૧૭
કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો રમત ગમત વિભાગના મંત્રી ડો.મનસુખ માંડવીયાના અઘ્યક્ષસ્થાને રામબાપાની જગ્યાની વાડી, મેવાસા, જેતપુર ખાતે તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ દિવ્યાંગ સાધન સહાય તથા મેડિકલ કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી માંડવીયાએ કહ્યું હતું કે, સેવાસેતુએ પ્રધાનમંત્રીનો સેવાના માઘ્યમથી લોકો સાથે જોડાયાનો ઉદાત્ત વિચાર છે. પ્રધાનમંત્રીએ જનતા વચ્ચે જઈ તેમના પ્રશ્નોના સમાધાન સાથે સરકારી યોજનાઓના લક્ષ પહોંચતા કરવાની કાર્ય સંસ્કૃતિનુ નિર્માણ કર્યું છે.
ગામડાના લોકોને ઘર આંગણે જ સરકારી સુવિધાઓનો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. વળી આજે આ કાર્યક્રમ સાથે મેડિકલ કેમ્પના માઘ્યમથી અનેક લોકોને સારવાર અને તેમની તકલીફોનુ નિદાન પણ મળશે.
પરોપકારએ કાઠીયાવાડની સંસ્કૃતિ છે તેમ જણાવી મંત્રી માંડવીયાએ ઉમેર્યું હતુ કે, ખેડૂત સક્ષમ બને તે માટે સરકાર દ્વારા મગફળી અને અન્ય જણસો ખરીદીને તેમને પોષણક્ષમ કિંમત આપવામાં આવી રહી છે. આજે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિને સમયે પણ તરત જ સર્વે કરી ખેડૂતોને વીમાના પૈસા પહોંચાડવામાં આવે છે. સરકારની આયુષ્યમાન યોજનાને કારણે ગામડાના કોઈ પણ વ્યકિતને કોઈના ઓશિયાળા થવાની જરૂર રહેતી નથી. પ્રધાનમંત્રી દ્વારા દિવ્યાંગોનુ જીવન વધુ સુવિધા સભર બને તે માટે તેમને વિવિધ સાધન સહાયના લાભ આપવામાં આવી રહ્યા છે. આજે અહીંથી લાભ લેનાર દિવ્યાંગોના જીવનમાં આ સાધનો થકી નવી ઉર્જાનો સંચાર થશે. તેવી અભ્યર્થના મંત્રીએ વ્યકત કરી હતી. આ સાથે મંત્રીએ ગામને પ્લાસ્ટિકમુક્ત બનાવવાની અપીલ સાથે સ્વચ્છતા પર ભાર મૂકયો હતો.