Mumbai,તા.16
શેરબજાર પર આજે ઈરાન-ઈઝરાયલ યુદ્ધની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આજે સેન્સેક્સ ફ્લેટ ખૂલ્યા બાદ 663 પોઈન્ટ ઉછળ્યો હતો. 12.36 વાગ્યે 635.81 પોઈન્ટ ઉછળી 81754.41 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 24930.65 થયા બાદ 12.37 વાગ્યે 209.10 પોઈન્ટ ઉછળી 24927 પર ટ્રેડ થઈ રહ્યો હતો. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તૂટ્યા બાદ આજે નીચા મથાળે ખરીદી વધતાં પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
એશિયન શેરબજારમાં સુધારોઃ મોટાભાગના એશિયન શેરબજાર સુધર્યા હતાં. સાઉથ કોરિયાનો કોસ્પી, નિક્કેઈ, ચીનનો એસએસઈ કોમ્પોઝિટમાં સુધારાની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી હતી. વૈશ્વિક પડકારો વચ્ચે વૉલ સ્ટ્રીટ ફ્યુચર્સ પણ સુધર્યો હતો.
2. અમેરિકા-યુએસ ટ્રેડ ડીલઃ ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો મળ્યા છે. 8 જુલાઈ સુધી આ કરારને અંતિમ સ્વરૂપ અપાઈ શકે છે. જે વેપાર અને રોકાણ પ્રવાહ માટે સકારાત્મક સંકેત આપે છે. આગામી 18 જૂને અમેરિકાની ફેડ રિઝર્વની પોલિસી મિટિંગ છે. જેમાં સેન્ટ્રલ બેન્ક વ્યાજના દર 4.25-4.50ની રેન્જમાં જાળવી રાખે તેવી શક્યતા જોવા મળી છે. વૈશ્વિક સ્તરે ટ્રેડ ટેન્શન વચ્ચે બેન્ક ઓફ જાપાન પણ 17 જૂનના રોજ તેની બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખી શકે છે. જેના પર રોકાણકારો નજર રાખી રહ્યા છે.
3. નીચા મથાળે ખરીદીઃ જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વચ્ચે છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં શેરબજાર નકારાત્મક રહ્યા બાદ આજે નીચા મથાળે ખરીદી વધી હતી. વૈશ્વિક સ્તરે વર્તમાન પડકારોને ધ્યાનમાં લેતાં રોકાણકારો નાના પાયે રોકાણ અને પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે.
શેરબજારમાં સ્ટોક સ્પેસિફિક ઉછાળાના કારણે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ રહી છે. બીએસઈ ખાતે 12.40 વાગ્યા સુધીમાં કુલ ટ્રેડેડ 4104 પૈકી 1544માં સુધારો અને 2361માં ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી. 248 શેરમાં લોઅર સર્કિટ અને 203 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જો કે, સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી ટાટા મોટર્સ સૌથી વધુ 3.79 ટકા તૂટ્યો હતો. જ્યારે સનફાર્મા 0.25 ટકા અને અદાણી પોર્ટ્સ 0.42 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય તમામ 27માં 2.34 ટકા સુધી ઉછાળો નોંધાયો હતો.