New Delhi,તા.7
દેશમાં કાળાનાણાંને બહાર કાઢીને નાબુદ કરવાના સરકારનાં ભરચકક પ્રયત્નો છતાં અનેકવિધ છટકબારીઓને કારણે ખાસ સફળતા મળતી નથી ત્યારે કૃષિ આવકના નામે કરોડો રૂપિયાની ક્રચોરી થતી હોવાના ખુલાસાને પગલે દેશવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે.
કૃષિ જમીન ન હોવા છતા 50 લાખ કે તેથી વધુની કૃષિઆવક દર્શાવનારા સંખ્યાબંધ કરદાતાઓનો ખુલાસો થયો છે. આવકવેરા ખાતાનાં સુત્રોએ કહ્યું કે, દેશમાં દાયકાઓથી કરમુકત છે અને તેનો કરદાતાઓ ગેરલાભ ઉઠાવી રહ્યા છે. કરચોરી કરવા ઉપરાંત કાળાનાણાને કાયદેસર કરવાનું પણ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
કૃષિ જમીન ન હોવા છતાં 50 લાખ કે તેનાથી પણ વધુ રકમની કૃષિ આવક દર્શાવવા ઉપરાંત એકર દીઠ પાંચ લાખની આવક દર્શાવવાના અવાસ્તવિક કિસ્સા પ્રકાશમાં આવતા દેશવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકીય નેતાઓ તથા વગદારો પણ આ કારસ્તાનોમાં સામેલ હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યુ છે.
કૃષિ આવક પર ઈન્કમટેકસ કે જીએસટી એમ બેમાંથી એક પણ ટેકસ લાગુ પડશે નહિં. જયપુરમાં ઈન્કમટેકસ દરોડા દરમ્યાન સમગ્ર કરતુત ખુલ્યા હતા જેમાં કરદાતાઓ જંગી કૃષિ આવક દર્શાવી હતી. ઉદ્યોગપતિ હોવા છતા તેનો દર્શાવેલી કૃષિ આવક શંકાસ્પદ લાગી હતી અને ઉંડી તપાસમાં ભાંડો ફૂટયો હતો વાસ્તવમાં તેની પાસે કોઈ કૃષિ જમીન જ ન હતી.
આવકવેરા અધિકારીઓએ વધુ વિગતો જાહેર કરવાનું હાલ વહેલુ ગણાવ્યુ છે. છતાં કરવેરા નિષ્ણાંતોના કહેવા પ્રમાણે કૃષિ આવક દર્શાવવા માટે પણ પુરાવા આપવાના હોય છે.
જમીનના વેચાણ ખેતીજમીન વ્યાપારીક ઉપયોગ માટે ભાડે આપવા જેવી પ્રક્રિયામાં કરમુક્તિ નથી અને તેમાં કર લાગુ પડે છે. અમુક કિસ્સામાં તો ત્રીજી વ્યક્તિને પણ અસર થાય છે. જંત્રીથી નીચાભાવે વેચાણ પણ અસરકર્તા બને છે.
કૃષી આવકમાં માત્ર ઉપજના વેચાણથી થતી આવક અથવા કૃષિજમીનમાંથી ભાડાની આવક પર જ કરમુક્તિ મળે છે. કૃષિ જમીનમાંથી અન્ય આવક પર કેપીટલ ગેઈન ટેકસ લાગુ પડે છે.
કૃષી જમીનનુ વેચાણ કરનાર વ્યક્તિ આવકવેરા રીટર્ન ફાઈલ કરવાને પાત્ર ન હોય તો આ વેચાણ વ્યવહાર આવકવેરા તંત્રને જાણમાં આવતા નથી પરંતુ મહેસુલી રેકોર્ડ પરથી તેની વિગતો મળી જતી હોય છે.
આવકવેરા ખાતા દ્વારા હવે દેશવ્યાપી તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે ગુજરાત સહિતના રાજયોમાં તવાઈ ઉતરવાના ભણકારા છે. નાણાકીય વર્ષને આડે ત્રણ સપ્તાહ બાકી છે ત્યારે તંત્ર તૂટી પડે છે કેમ તેના પર મીટ છે.