વિમાન દુર્ઘટનાને લઈ પોર્ટુગલ દૂતાવાસે દુઃખ વ્યક્ત કર્યું
New Delhi, તા.૧૨
એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર- AI171 અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની સાથે જ થોડે દૂર ક્રેશ થઈ ગઈ છે. આ ભયાનક ઘટનાને લઈ દેશ-વિદેશમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વિમાનમાં કુલ ૨૪૨ લોકો સવાર હતા. તેમાં ૧૬૯ ભારતીય મુસાફરો, ૫૩ બ્રિટિશ મુસાફરો, સાત પોર્ટુગીઝના નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને ૧૨ ક્રૂ મેમ્બર સવાર હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે અમદાવાદ વિમાન દુર્ઘટના પર ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદમાં જે ઘટના બની, તે ખૂબ જ દુઃખદ દુર્ઘટના છે. તેમાં આપણે અનેક લોકોને ગુમાવ્યા છે. તેમણે પ્રિયજનો ગુમાવનારા તમામ લોકો પ્રત્યે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. આ અકસ્માતમાં ઘણા વિદેશી નાગરિકો પણ સામેલ છે. પરિસ્થિતિ હજુ પણ બદલાઈ રહી છે અને બચાવ કામગીરી ચાલુ છે. ચોક્કસ વિગતો બહાર આવવા માટે આપણે થોડો વધુ સમય રાહ જોવી પડશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, ઘટનાને અંગેનું તમામ જરૂરી અપડેટ સંબંધિત વિભાગો, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એર ઈન્ડિયા અને સત્તાવાર એજન્સીઓ દ્વારા શેર કરવામાં આવશે. બીજીતરફ ભારત સ્થિત પોર્ટુગલ દૂતાવાસે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. દૂતાવાસે નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘ભારતથી યુનાઈટેડ કિંગ્ડમ જઈ રહેલા એર ઈન્ડિયના વિમાન ક્રેશ થવાની ઘટના અંગે જાણીને અમે સ્તબ્દ અને અત્યંત દુઃખી થયા છીએ. પ્રાથમિક માહિતી મુજબ, વિમાનમાં પોર્ટુગલના સાત નાગરિકો સવાર હતા. અમારી સંવેદનાઓ બધા અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે છે.
પોર્ટુગલ દુતાવાસે એમ પણ કહ્યું છે કે, ભારત સ્થિત ભારતીય દૂતાવાસ સંબંધિત વિદેશી નાગરિકો અને તેમના પરિવારજનોને તમામ સંભવ મદદ કરી રહ્યા છીએ. દુતાવાસે ઈમરજન્સી મદદ માટે એક વિશેષ નંબર +૩૫૧ ૯૧૧ ૯૯૧ ૯૩૯ જાહેર કર્યો છે. એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘એર ઈન્ડિયાની ફ્લાઈ નંબર-એઆઈ૧૭૧ બપોરે ૧૩.૩૮ કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થઈ હતી, તેની થોડીક જ મિનિટોમાં ફ્લાઈટથી મેડે કૉલ મળ્યો અને પછી સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ વિમાન તુરંત એક રહેણાંક વિસ્તારમાં જઈને ક્રેશ થયું છે. એર ઈન્ડિયાએ વિમાનમાં સવાર મુસાફરોના પરિવારજનો માટે હેલ્પલાઈન નંબર ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ જાહેર કર્યો છે. હાલ ઘટનાસ્થળે પૂરજોશમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.