Ahmedabad,તા.29
અમદાવાદના ચંડોળા તળાવમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી હજુ શાંત પણ નથી થઈ ત્યાં બાપુનગરમાં તંત્રએ મોટાપાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી સપાટો બોલાવ્યો છે. ગુરૂવારે (29 મે) સવારથી અકબરનગર વિસ્તારમાં આશરે 400થી વધુ જેટલાં કાચા-પાકા મકાન-દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા હતા.પાંચ જેસીબી અને આઠ જેટલા હિટાચી મશીન તથા અનેક ટ્રક સાથે મોટાપાયે તંત્ર દ્વારા આજે સવારથી જ સપાટો બોલાવવામાં આવ્યો હતો. તંત્રની કાર્યવાહીના પગલે લોકોએ ઉતાવળે તેમના બાંધકામ પરથી પતરાં અને કામની વસ્તુઓ હટાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે કોઈ અનિચ્છિનીય ઘટનાને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
આ ડિમોલિશનની કાર્યવાહી અંગે બાપુનગર વિસ્તારના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે કહ્યું કે અકબરનગરના છાપરા તરીકે ઓળખાતો આ વિસ્તાર એએમસીની માલિકી હસ્તક આવે છે. વર્ષોથી અહીં દબાણ કરી લેવામાં આવ્યું હતું. અહીં સરવે બાદ લોકોને સરકારી વસાહતોમાં મકાન આપ્યા બાદ ફરી આ લોકો અહીં આવીને છાપરા બાંધી રહેવા લાગ્યા હતા. થોડા સમય અગાઉ રખિયાલમાં પોલીસને તલવાર-ચપ્પુ બતાવી ધમકાવનારા અસામાજિક તત્વો પણ અહીં જ રહેતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મળતી માહિતી અનુસાર, આ વિસ્તારમાં રહેતા લોકોને પહેલાથી જ ગેરકાયદે બાંધકામને ખાલી કરવા ચેતવણી ઈશ્યૂ કરી દેવામાં આવી હતી. જેમાં ઘણાં લોકો તો એવા હતા જેમને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવી દેવાયા હતા છતાં તેમાંથી અનેક લોકો અહીં આવીને પાછા રહેવા લાગ્યાની જાણકારી મળી હતી.