Anand,તા.10
બોરસદ શહેરમાં ૬૦ વર્ષના ઈતિહાસમાં સૌથી મોટું મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. બોરસદ પાલિકાએ કંતાનનગર અને પાંચવડ વિસ્તારમાં પાક્કા અને પતળાવાળા ૨૨૦ મકાનો ઉપર બુલડોઝર ફેરવી દઈ તોડી પડાયા હતા. ડિમોલેશન વખતે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ જતા બોરસદમાં સન્નાટો છવાઈ ગયો હતો. પાલિકાની દબાણ હટાવો ઝૂંબેશમાં ૧૧૦૦થી વધુ રહીશો બેઘર બન્યા છે.
કંતાનનગરના અગ્રણીઓએ વહેલી સવારે દબાણ દૂર કરતી ટીમને જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા માત્ર ૧૨ મકાન માલિકોને જ મકાન તોડવાની નોટિસો આપી હતી. બીજા મકાનો તોડવાની હજુ પણ નોટિસો આપી નથી. તો પછી તમે નોટિસો આપ્યા વિના મકાનો કેવી રીતે તોડી શકો. આ વખતે માહોલ તંગ થયો હતો. છેવટે પોલીસની મદદથી ટોળાઓને વિખેરી નાખવામાં આવ્યા હતા. બોરસદ નગરપાલિકાએ આજે ૬૦,૦૦૦ ચોરસ મીટર જેટલી દબાણ થયેલી જગ્યા ઉપરથી દબાણો ખસેડયા હતા. જંત્રી ભાવ પ્રમાણે આ જમીનની કિંમત અંદાજિત ૪૦ કરોડ થવા પામે છે. બોરસદ પાલિકા દ્વારા શહેરના નિરાશ્રિતો માટે શહેરના વિવિધ વિસ્તારમાં ૨૮,૦૦૦ ચોરસ મીટર જેટલી જમીન ફાળવીને આવાસ યોજના બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું છે.
કંતાનનગરમાં ઘરવિહોણા થયેલા ૧૧૦૦થી વધુ રહીશોના અગ્રણીઓએ હવે બોરસદ પાલિકામાં ભૂખ હડતાલ શરૂ કરવા અંગે આયોજન શરૂ કર્યું છે. શહેરના વન તળાવ, જાકલી તળાવ, વાસદ ચોકડી સહિતના અન્ય વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા નથી અને માત્ર પક્ષપાત કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ તેમણે કર્યો હતો. પાલિકાને લેખિત આવેદનપત્ર પણ આપવાની તૈયારીઓ કરાઈ છે. કંતાનનગરમાં શરૂ કરવામાં આવેલા મેગા ડિમોલેશનમાં બોરસદ પાલિકાનો ૨૫ જેટલો સ્ટાફ, એક હીટાચી મશીન, પાંચ જેસીબી, ૬ ટ્રેક્ટર, જીઇબીની બે અને પોલીસની ત્રણ ગાડીઓ સ્થળ ઉપર ખડકી દેવામાં આવી હતી.બોરસદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન ચાલુ છે. ત્યારે સોમવારે આણંદ જિલ્લા કલેકટરની સૂચના અનુસાર બોરસદના ચીફ ઓફિસર સહિતની ટીમે મોજરા તળાવના દબાણો દૂર કર્યા બાદ વહેલી સવારથી જ બોરસદ પોલીસ સ્ટેશન પાસે આવેલા પાંચવડ અને સંતાનગરના દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં અંદાજિત ૨૨૦થી વધુ પાક્કા અને પતળાવાળા મકાનો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું. વહેલી સવારે શરૂ કરવામાં આવેલી ડિમોલેશનની કામગીરીના સમયે કંતાનનગરમાં રહેતા રહીશોએ દબાણ સંદર્ભે વિરોધ કર્યો હતો અને પાંચ દિવસની સમય મર્યાદાની માંગણી પણ કરવામાં આવી હતી. છતાં ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવતા થોડો સમય માટે વિસ્તારમાં તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે બોરસદ પોલીસ અધિકારીઓ, ૪૦થી વધુ પોલીસ કર્મચારીઓ, ૫૦થી વધુ હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો સહિત બે મોબાઈલ પોલીસ વાન વિસ્તારમાં ગોઠવી દેવામાં આવી હતી.