બન્ને પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થાય અને ભવિષ્યના વિવાદથી છુટકારો મળે
Rajkot,તા.05
ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. ૧૨/ ૭/ ૨૦૨૫ના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મથકો ખાતેની તમામ કોર્ટમાં મેગા લોક-અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.આ લોક-અદાલતમાં ફોજદારી સમાધાન લાયક , ચેક રિટર્ન અંગે , બેન્ક લેણાના , મોટર અકસ્માત વળતરને લગતા, લગ્નવિષયક , મજુર અદાલતના , જમીન સંપાદનને લગતા , ઈલેક્ટ્રીસિટી તથા પાણીના બિલોને લગતા , રેવન્યુ , દિવાની પ્રકારના (ભાડા, સુખાધિકારના) , મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા, અન્ય સમાધાન લાયક કોર્ટમાં દાખલ થયેલ તથા દાખલ થાય તે પહેલાં (પ્રિલિટિગેશન) હાથ પર લેવામાં આવનાર છે.રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન, મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે. પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી, જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આગામી તા. ૧૨ શનિવારના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માંગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી અથવા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાના કેસો લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે.