Junagadh,તા.19
જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ગત 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 12 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે સૂત્રાપાડાનું પ્રશ્નાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બન્યું છે. તો બીજી તરફ વેરાવળમાં 6 ઇંચ અને કોડીનારમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાલાલા અને ઉનામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોએ રાત ઉજાગરા કરવા પડ્યા છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે.જૂનાગઢના માળીયા હાટીનાનો ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદને કારણે લાછડી નાની સિંચાઈ ડેમ પણ છલકાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગે પણ જૂનાગઢ જિલ્લા માટે વરસાદનું ‘રેડ ઍલર્ટ’ જાહેર કર્યું છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમોને કારણે આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

