Ahmedabad,તા.૫
મિલેટ્સના ઉપયોગ અંગે લોકોમાં જાગરૂકતા ફેલાવવાના તેમના સઘન પ્રયાસોના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ ૨૦૨૩ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’ જાહેર કર્યું હતું. આજે ગુજરાત પણ જાડા અને બરછટ અનાજના ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપી રહ્યું છે અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી ૮ અને ૯ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ ૨૦૨૫’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે. આ કાર્યક્રમ સાત મ્યુનિસિપલ કોર્પોરેશનો – અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે, જેમાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત થશે. ૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ બપોરે ૧૨.૧૫ વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ અને રાજ્યકક્ષાના કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં, મિલેટ્સનું ઉત્પાદન કરતા તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવતા રાજ્ય સ્તરના એફપીઓ સાથે સંકળાયેલા લગભગ ૧૦૦૦ ખેડૂતો, જાણીતા એનજીઓ અને રાજ્યના શહેરી નાગરિકો સામે થશે. આ કાર્યક્રમમાં અંદાજે ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે. તેવી જ રીતે, અન્ય મહાનગરપાલિકાઓમાં યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં લગભગ ૫૦૦ ખેડૂતો અને વિષય નિષ્ણાંતો સામેલ લેશે. જિલ્લા કક્ષાના કાર્યક્રમ સ્થળોએ સ્થળ દીઠ લગભગ ૨૦,૦૦૦ થી ૨૫,૦૦૦ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે. સવારે ૯.૦૦ વાગ્યાથી રાતે ૯.૦૦ વાગ્યા સુધી ચાલનારો આ બે દિવસીય કાર્યક્રમ, ખેડૂતો, કૃષિ નિષ્ણાંતો, વ્યવસાયો (બિઝનેસ) અને ગ્રાહકો માટે એક ગતિશીલ મંચ તરીકે સેવા આપશે, જ્યાં તેઓને મિલેટ્સ તેમજ પ્રાકૃતિક ખેતીની સંભાવનાઓને એક્સપ્લોર કરવાની તક મળશે.
મિલેટ મહોત્સવમાં ૧૨૫ રાજ્ય-સ્તરીય અને ૭૫ જિલ્લા કક્ષાના સ્ટોલનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં, આ પ્રદર્શનમાં, રાજ્ય કક્ષાના ૧૦૦ અને જિલ્લા કક્ષાના ૬૦ સ્ટોર મિલેટ આધારિત ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને સમર્પિત હશે, જેમાં અનુક્રમે ૨૫ અને ૧૫ લાઇવ ફૂડ સ્ટોલ્સ હશે.
કાર્યક્રમ દરમિયાન, મિલેટ્સનું મહત્વ, મિલેટ્સના પાકોમાં મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન, અને બાગાયતી પેદાશોનું કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પેનલ ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવશે. આ સાથે જ, મિલેટ્સ આધારિત રસોઈ, પ્રાકૃતિક ખેતીની તકનીકો અને ફૂડ પ્રોસેસિંગ એટલે કે ખાદ્ય પ્રક્રિયાઓ અંગેના લાઇવ ડેમોન્સ્ટ્રેશન્સ કાર્યક્રમમાં આવનારા મુલાકાતીઓને મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરશે.