Gujarat,તા.15
પ્રતિ વ્યક્તિએ સારા સ્વાસ્થ્ય માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. પરંતુ આપણે જે પાણી પી રહ્યા છીએ તે કેટલું ચોખ્ખું છે, એ બાબત પણ સ્વાસ્થ્ય માટે એટલી જ મહત્ત્વની છે. છેલ્લા કેટલાક સમયથી અનેક લોકો પીવાના પાણી તરીકે 20 લીટરની બોટલની ખરીદી કરે છે. પરંતુ આ પૈકીની અનેક બોટલ અનબ્રાન્ડેડ એટલે કે તે કઈ કંપનીની છે, તે પાણી ક્યાંથી પ્રોસેસ કરાયું જેવી કોઇ વિગત હોતી નથી. ‘મિનરલ વોટર’ નામે વેંચાતું આ પાણી કિડની માટે જોખમી સાબિત થઈ શકે છે.
બોટલમાં મળતું પાણી કેટલું ચોખ્ખું તે ચકાસવું જરૂરી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારના નામ-ઠામના ઠેકાણા વિનાના ‘કેરબા’ માં પાણીનું વેચાણ વધ્યું છે. કોઇ પ્રસંગ હોય કે ઘરમાં પીવાનું પાણી આવે નહીં ત્યારે આ પ્રકારના કેરબા મગાવી લેવામાં આવે છે. આ પ્રકારે અનબ્રાન્ડેડ પાણીનું વેચાણ કરનારા દ્વારા દાવો કરવામાં આવતો હોય છે કે તેમનું પાણી આરઓ દ્વારા ફિલ્ટર્ડ કરાયું છે. પરંતુ દાવામાં કેટલું તથ્ય હોય છે તે મોટો સવાલ છે. ઘરના ઉંબરે સુધી પહોંચાડા પાણીના મોટાભાગના કેરબામાં લેબલ હોતું નથી. જેના કારણે પાણીજન્ય રોગ થવાનું પણ જોખમ રહે છે.
કોઈ ગાઇડલાઇન્સ અનુસરવામાં આવતી નથી
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઈન્ડિયાની ગાઇડલાઇન્સ પ્રમાણે આ રીતે વેચાતું પાણી સિલબદ્ધ હોવું જોઈએ અને તેમાં પ્રોડક્ટનું નામ, પ્રોસેસરનું સરનામું, બેચ નંબર, ટ્રીટમેન્ટ માટે પદ્ધતિ, ક્યાં સુધી આ પાણી વાપરવું શ્રેષ્ઠ જેવી વિગત હોવી ફરજિયાત છે. પરંતુ આ પ્રકારની કોઈ વિગત તેમાં જોવા મળતી નથી. ઘણી વખત તો 20 લીટરની આ પાણીની બોટલ યોગ્ય રીતે સાફ કર્યા વિના જ તેમાં પાણી ભરીને નવા ગ્રાહકને વેચવા આપી દેવાય છે.
ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કોઇ પગલાં પણ લેવાતાં નથી
અમદાવાદના અનેક વિસ્તારમાં કોઈ રોકટોક વિના આ રીતે બોટલમાં પાણીના વેચાણ કરતી ફેક્ટરી ધમધમે છે. આ રીતે અનબ્રાન્ડેડ પાણી વેચનારા સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કોઇ પગલાં પણ લેવાતાં નથી અથવા તો તેમના દ્વારા આંખ આડા કાન જ કરી દેવામાં આવે છે.
આવું પાણી પીવાથી પાણીજન્ય રોગ થવાનું જોખમ
આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડો. મેહુલ શેલતે જણાવ્યું કે, ‘આ રીતે બ્રાન્ડ વિના વેચાતા કેરબાના પાણીમાં મિનરલનું બેલેન્સ હોય તેની સંભાવના નહિવત્ છે. જેના કારણે આ પાણી પીવાથી આપણા શરીરના મિનરલનું સંતુલન ખોરવાઇ શકે છે. ડબલ્યુએચઓના મતે પીવાના પાણીમાં સોલ્ટ, કેલ્શિયમ, સોડિયમ, બોરોન જેવા તત્વો હોવા જરૂરી છે પણ તે આ અનબ્રાન્ડેડ કેરબાના પાણીમાં જળવાતું હશે કે કેમ એ સવાલ છે. આ પ્રકારનું પાણી પીવાથી પાણીજન્ય રોગ થવાનું જોખમ, બી12 ઓછું થાય, કિડનીને અસર, લીવરની સાઈડ ઈફેક્ટ, કેન્સર જેવા રોગ થવાની પણ સંભાવના રહેલી છે.