New Delhi,તા.10
ભારતીય વાયુસેનાના બહાદુર ટેસ્ટ પાઈલટ શુભાંશુ શુક્લા ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેઓ 11 જૂને નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાન સી213માં સવાર થઈને અંતરીક્ષ એટલે કે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક માટે ઉડાન ભરવાના છે. 15 વર્ષ સુધી કૉમ્બેટ પાયલોટ રહેલા શુભાંશુ ઐતિહાસિક અંતરિક્ષણ મિશન Axiom-4ને સફળ બનાવવા જઈ રહ્યા છે. આ મિશન એક્સિઓમ સ્પેસ હેઠળ લોન્ચ થવાનું છે અને તેને ‘મિશન આકાશ ગંગા’ પણ કહેવામાં આવે છે. આ મિશન ભારત અને અમેરિકા વચ્ચેના અવકાશ સહયોગનું પરિણામ છે, જેમાં ભારતે 548 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
• પેગી વ્હિટ્સન – અમેરિકાની નાગરિક, મિશન કમાંડર, ભૂતપૂર્વ નાસા અંતરિક્ષયાત્રી. તેઓ 675 દિવસથી વધુ સમય માટે અંતરિક્ષમાં રહી ચૂક્યા છે.
• શુભાંશુ શુક્લા – ભારતીય વાયુસેના ગ્રુપ કેપ્ટન, ISROના ગગનયાન મિશન માટે પસંદ થયેલા ચાર અંતરિક્ષયાત્રીઓમાંના એક.
• સ્લાવોસ ઉઝ્નાંસ્કી-વિસ્નિએવ્સ્કી – યુરોપિયન સ્પેસ એજન્સીના અંતરિક્ષયાત્રી, મિશન સ્પેશ્યાલિસ્ટ, વિજ્ઞાની અને એન્જિનિયર.
• ટિબોર કપુ – હંગેરીના અવકાશયાત્રી, સ્પેસ ઓફિસના પ્રતિનિધિ, મિકેનિકલ એન્જિનિયર.
• બેકઅપ યાત્રી – ભારતમાંથી ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાળકૃષ્ણન નાયર બેકઅપ પાયલટ તરીકે અને હંગેરીમાંથી ગ્યુલા સેરેની બેકઅપ અવકાશયાત્રી તરીકે સામેલ.
વિજ્ઞાનના પ્રયોગ: 60થી વધુ વિજ્ઞાન પ્રયોગો હાથ ધરાશે, જેમાંથી 7 ભારતના છે.
માઇક્રોગ્રેવિટીમાં સંશોધન: કંપ્યુટર સ્ક્રીનની માનસિક અસર, માઇક્રોએલ્ગી અને સાયનોબેક્ટેરિયા વૃદ્ધિ, માંસપેશીઓ નબળી થવાની અસર વગેરે.
ખેતી અને સ્વાસ્થ્ય: માઇક્રોગ્રેવિટીમાં મેથી અને મગના બીજની અસર વિશે વિશ્લેષણ.
આંતરાષ્ટ્રીય ભાગીદારી: મિશન 31 દેશોની ભાગીદારી સાથે કરવામાં આવશે, જેમાં અમેરિકા, ભારત, પોલેન્ડ, હંગેરી, સાઉદી અરબ, બ્રાઝિલ, નાઈજીરીયા અને UAE સામેલ છે.
ટેક્નોલોજીનો પ્રયોગ: આ મિશનમાં નવા સાધનો અને ટેક્નોલોજીનો પણ પ્રયોગ કરવામાં આવશે. અહીં વિયરેબલ ડિવાઇસ અને iPhone ના સોફ્ટવેરનો કેવી રીતે ઉપયોગ કરવો એ વિશે પણ તપાસ કરવામાં આવશે.
જાગૃક્તા અને શિક્ષણ: આ મિશનની ટીમ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી બાળકો અને શિક્ષકો સાથે રેડિયો દ્વારા વાત કરશે. બ્રાઝિલ અને નાઇઝિરિયાના બાળકો દ્વારા કેટલાક પ્રયોગ તૈયાર કરવામાં આવ્યા છે. આ વિષયમાં અંતરિક્ષમાં બે બોલની ટક્કર અને પેંડુલમનું અધ્યયન પણ કરવામાં આવશે.
શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં મગની દાળ અને મેથી ઉગાડવાનો પ્રયાસ કરશે. એક્સિઓમ-4 મિશનમાં ભારતના શુભાંશુ શુક્લા પાઇલટ તરીકે જઈ રહ્યા છે. આ ઐતિહાસિક મિશનમાં, શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં માઇક્રોગ્રેવિટીનું પણ પરિક્ષણ કરશે. ભારત માટે આ મિશન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે ત્યાર બાદ ગગનયાન મિશન પર ધ્યાન આપવામાં આવશે. આ મિશન ઇસરો, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીનું સહયોગી પ્રોજેક્ટ છે.
શુભાંશુ શુક્લા આ મિશન દરમિયાન અંતરિક્ષમાં લાંબા સમય સુધી ટકી રહેતા ભોજન અંગે રિસર્ચ કરશે. તે માઇક્રોગ્રેવિટીમાં મગની દાળ અને મેથી ઉગાડવાની કોશિશ કરશે. આ પાક ઉગી શકે કે નહીં? ઉગે તો એની શું અસર થાય છે? કેવા પડકારો આવે છે? જેવા મુદ્દાઓ પર વિશ્લેષણ કરવામાં આવશે. અંતરિક્ષમાં લાંબા ગાળાના મિશન માટે આ ટકાઉ ભોજન ઉપયોગી થઈ શકે છે. આ પાકનું બીજ ન્યુટ્રિશન ધ્યાને રાખીને પસંદ કરવામાં આવ્યું છે.
આ રિસર્ચ અંતરિક્ષમાં થશે, ત્યાર બાદ એ બીજ પૃથ્વી પર લાવવામાં આવશે. પૃથ્વી પર અનેક પરીક્ષણો કરવામાં આવશે, જેમાં ચકાસવામાં આવશે કે અંતરિક્ષમાં રહેલા જીન્સમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં, માઇક્રોબાયલ અસર થઈ છે કે નહીં અને પોષણમાં કોઈ બદલાવ આવ્યો છે કે નહીં. આ અભ્યાસ દ્વારા પૃથ્વી અને અંતરિક્ષમાં બીજ પર થતી અસરનું મૂલ્યાંકન કરવામાં આવશે. ગગનયાન જેવા મિશન માટે આ રિસર્ચ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
એક્સિઓમ-4 મિશન દરેક ભાગ લેનાર દેશ માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત, અમેરિકા, હંગેરી અને પોલેન્ડના વૈજ્ઞાનિકો આ મિશન પર મળીને કામ કરી રહ્યા છે, જે વૈશ્વિક સંકલન અને સહકાર માટે નવી તકો ખોલી શકે છે. જો શુભાંશુ શુક્લાને આ અભ્યાસમાં સફળતા મળે, તો અંતરિક્ષમાં એગ્રિકલ્ચર માટે નવા માર્ગ ખુલી શકે છે, જેના કારણે આ મિશન હવે પહેલાં કરતાં વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.
ISS પર પહોંચ્યા પછી ઘણાબધા પ્રયોગો કરવામાં આવશે. એમાંના 7 પ્રયોગો એવા હશે જે ભારતીય વિજ્ઞાનીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. એમાંના મોટાભાગના જૈવિક પ્રયોગો હશે, જેમ કે અવકાશમાં માનવ શરીર અને છોડના બીજ પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણની અસર કેવી થતી હોય છે. અવકાશમાં લાંબા સમય સુધી ટકી રહેતા ભોજન અંગે પણ રિસર્ચ કરાશે. નાસાના સહયોગમાં માનવ સંશોધન સંબંધિત અન્ય પ્રયોગો પણ કરવામાં આવશે.
Ax-4 મિશનમાં ભારતે 548 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એમાં શુભાંશુ શુક્લા અને તેમના બેકઅપ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયરની પ્રક્ષેપણ તેમજ તાલીમના ખર્ચનો સમાવેશ થાય છે. શુભાંશુને સ્પેસએક્સ અને એક્સિઓમ સ્પેસ દ્વારા વિશેષ તાલીમ આપવામાં આવી છે.
આજથી 41 વર્ષ અગાઉ ભારતના રાકેશ શર્માએ અવકાશમાં જનારા પહેલા ભારતીય બનવાની સિદ્ધિ મેળવી હતી, એ પછી શુભાંશુ શુક્લા બીજા ભારતીય છે જે અવકાશગમન કરી રહ્યા છે. ભારતના અવકાશ કાર્યક્રમમાં આ મોટી ઉપલબ્ધિ છે. ભારતને અવકાશમાં નવી ઊંચાઈઓ પર લઈ જનારા આ મિશન પર પ્રત્યેક ભારતીયની નજર રહેશે.
ઇતિહાસ બનાવવાનો ચાન્સ: 1984 બાદ ભારતમાંથી બીજી વ્યક્તિ અંતરિક્ષમાં જવાનો છે. ગગનયાનની તૈયારી: આ મિશન ગગનયાન માટે મહત્વનો અનુભવ આપશે. વિજ્ઞાન પ્રયોગ: ભારતના સાત પ્રયોગો માઇક્રોગ્રેવિટી વિશે નવું શીખવામાં મદદ કરશે. પ્રેરણા: શુભાંશુના મિશનથી ભારતની નવી પેઢી અંતરિક્ષ વિશે પ્રેરિત થશે.
શુભાંશુ શુક્લાનો જન્મ 10 ઓક્ટોબર 1985, લખનઉ, ઉત્તર પ્રદેશમાં થયો હતો. 1999માં થયેલા કારગિલ યુદ્ધથી પ્રભાવિત થઈ, તેમણે આર્મીમાં જોડાવવાનો નિર્ણય લીધો. નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી અભ્યાસ કર્યા પછી, 2006માં તેઓ વાયુસેનામાં જોડાયા. તેઓ એક અનુભવી પાયલટ છે અને ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે રશિયાના યૂરી ગગારિન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ લીધેલી છે, તેમજ બેંગલોરમાં અગાઉની ટ્રેનિંગ પૂર્ણ કરી. માર્ચ 2024માં તેમને ગ્રુપ કેપ્ટન બનાવવામાં આવ્યા હતા.
Axiom Space નામની એક પ્રાઇવેટ કંપની દ્વારા Ax-4 મિશન કરવામાં આવી રહ્યું છે. આ કંપનીનું આ ચોથું મિશન છે, જે નાસા અને SpaceX સાથે મળીને હાથ ધરવામાં આવ્યું છે. આ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાથ ધરાશે, જ્યાં Ax-4ની ટીમ 14 દિવસ સુધી સંશોધન કરશે. તેઓ રિસર્ચની સાથે ટેક્નોલોજી પ્રદર્શન અને જનજાગૃતિ માટેના કાર્યક્રમ પણ યોજશે. આ મિશન ખાસ કરીને ભારત, પોલેન્ડ અને હંગેરી માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેવા દેશો લગભગ 40 વર્ષ બાદ ફરી અંતરિક્ષ યાત્રામાં ભાગ લઈ રહ્યાં છે.